Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ : રાજ્યના તમામ જીલ્લાઓમાં મહા અભિયાન થયું સંપન્ન

જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત કરી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છરના પોરાનો સ્થળ ઉપર નાશ કરાયો

અમદાવાદ :  રાજયમા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરી અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આજે  રાજ્ય ની તમામ જીલ્લાઓમાં એક મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું , જેમાં જીલ્લાઓની કુલ ૨૨૬૬૬ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી આ ટીમમાં મલ્ટી પર્પસ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશાબેનો દ્વારા આ અભિયાનહાથ ધરીને પરિણામલક્ષી કામગીરી કરવામા આવી છે એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે.
યાદીમા વધુમા જણાવાયાનુસાર ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. અને તેને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર નિયંત્રણ ની કામગીરી ખૂબ જરૂરી છે જેમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે તકેદારી રાખવાની હોય છે સામાન્ય રીતે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એટલે જ્યાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં તેમાં પાત્રોમાં પોરા ઉત્પન્ન ના થાય તે માટે સરકાર દ્વારા નિયમિત કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં જન ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે
રાજયના જીલ્લાઓમા યોજાયેલ આ અભિયાનમાં જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત લેવામાં આવી તે પૈકી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છર ના પોરા જોવા મળ્યા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો વધુમાં ૧૭૫૯૦૮ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો. ૩૭૦૧૧ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા. આ મહા અભિયાન દરમિયાન ૨૯૨૩ સુપરવાઇઝરો દ્વારા  સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવ્યું.
તમામ જગ્યાએ વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મચ્છર ઉત્પત્તિ ન થાય તેના માટે પ્રચાર અને પ્રસાર હાથ ધરવામાં આવ્યો. આગામી સમયમાં મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ પૂરી પાડવામાં આવી હતી

(7:04 pm IST)