Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

શાળાઓ બંધ રાખવાના નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાની પેટર્નમા ફેરફારઃ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ર૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરાયુ

અમદાવાદ : કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.

વર્ષ 2020-21 માટે ધોરણ 9,10 અને 11 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 ટકા જેટલું કરાયું છે. જે અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા હતું. ધોરણ 12 સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે. ઉપરાંત ધોરણ 9થી 12 પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનના બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર, પ્રશ્નપત્રોનું માળખું અને પરિરૂપની વિગતો તેમજ ધોરણ 9 અને 11ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ અનુસાર પ્રકરણદીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટુંક સમયમાં શરૂ કરાશે

જ્યારે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાનાં રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કરેલ ફેરફાર હાલની કોવિડ 19ની સ્થિતીને કારણે 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ લાગુ રહેશે

(5:26 pm IST)