Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કર્ફયુના પગલે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે બંધ કરાયાની સોશ્યલ મિડીયામાં અફવા ઉડી

અમદાવાદ : અમદાવાદમાં કરફ્યૂને પગલે શહેર સાવ શાંત થઈ ગયું છે. શહેરમાં ચારેતરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. દુકાનોથી લઈને મોલ, મલ્ટીપ્લેક્સ, મંદિરોને પણ તાળા વાગી ગયા છે. કેટલા વિસ્તારોની હાલત એવી છે કે ત્યાં ચકલા પણ ફરકી નથી રહ્યાં. તો રેલવે સ્ટેશન અને એરપોર્ટના મુસાફરો સિવાય ક્યાંય કોઈ લોકો નજરે આવી નથી રહ્યાં. આવામાં કેટલીક અફવાઓએ જોર પકડ્યું છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરાયાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ થયાના વાયરલ મેસેજ મામલે તપાસ કરતા આ વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો સાબિત થયો. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે. હાઈવે પર વાહનોની પણ અવરજવર પણ થઈ રહી છે. ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ ઉપસ્થિત છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 

શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે.

(5:29 pm IST)