Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વૈશાખ વદ અમાવાસ્યે મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્જ્યો ચંદનના કલાત્મક વાઘાથી શૃંગાર તથા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ૭૫ મા સ્થાપના દિનની ઉજવણી.

ચંદન શીતળતાનું પ્રતીક છે. પૌરાણિક કાળથી જ ભારતમાં ચંદનનું આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. ચંદનની સુગંધ અને પવિત્રતાને લઈને હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. વૈશાખ સુદ ત્રીજ તિથિ અક્ષય હોય છે. તે દિવસથી ચંદનયાત્રા શરૂ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય આ દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને સંતો ભક્તો પોતાની વિરહાગ્નિ નિવેદન કરી અનેક પ્રકારની શીતળ સામગ્રી, ચંદન, અરગમ, કેસર, બરાસ, ગુલાબ, સુગંધી અંત્તર, ફૂલેલ વગેરે વસ્તુઓનો લેપ ભગવાનના અંગો ઉપર કરી કલાત્મક વાઘા ધરાવે છે. અને સૌ સંતો ભક્તો દર્શન કરી આધ્યાત્મિક શીતળતા અને શાંતિ અનુભવે છે. શ્રીજી મહારાજ, સમકાલિન શીઘ્ર કવિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીજી કહે છે કે,

*ચંદન ખોર કીયે આવત હરિ....* 

*સાથે જ સખા મંડળ અતિ શોભિત, કરમે રૂમાલ લીયે....*

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને કારણે વર્ષોથી ગરમીમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે વૈશાખ સુદ-વદની એકાદશી, પૂર્ણિમા તેમજ અમાસના પાવન દિને શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિજીને વર્ષોથી સંતો ચંદનના વાઘા ધરાવવામાં આવે છે.

આજે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીક્ર્ષ્ણ મહારાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળતા ઠંડક માટે મોહિની એકાદશીના પરમ પાવન દિને કલાત્મક ડીઝાઇન યુક્ત ચંદનના વાઘા – શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા.

આજે જૂન મહિનાની ૧૦ મી તારીખ અને વૈશાખ વદ અમાવસ્યા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર તથા દેશ-વિદેશમાં દર મહિનાની અમાસના દિવસે શ્રી સદ્ગુરુ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજથી 75 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કચ્છના ઘનશ્યામ નગર મુકામે તારીખ 30 - 5 -1946 ને ગુરુવારના રોજ "શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ"ની સ્થાપના કરી હતી. જેને આજે જ 75 વર્ષ પૂર્ણ થયાં છે. પંચોતેર વર્ષ પહેલાં આજના જ દિવસે કચ્છના ગામેગામના હરિભક્તો ભેગા થયા હતા. સ્વામીબાપાએ શ્રી સદ્ગુરુ દિનની સત્સંગ સભા અને દિવ્ય સમૂહ રાસનું આયોજન કર્યું હતું. રાબેતા મુજબ ધૂન્ય, કીર્તન તથા ધ્યાન પછી કથાવાર્તા અને પ્રાસંગિક પ્રવચનો થયાં. તેમાં તાજેતરમાં દહીંસરાના મંદિરેથી જાકારો મળ્યો તે પ્રસંગે અનેક ભક્તોએ અંતરની વ્યથા ઠાલવી. ભક્તોની વ્યથાનો સૂર સાંભળીને જીવનપ્રાણ સ્વામીબાપા જણાવ્યું કે, આપણે નવસર્જનનો માર્ગ અપનાવવો પણ કોઈની નિંદા, ટીકા-ટિપ્પણીમાં સમય બરબાદ કરવો નહીં. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા આને જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીએ ચીંધેલા સિદ્ધાંતો અને ભક્તિનો માર્ગ જ આપણે ગ્રહણ કરવો. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણ 54 મા‌ વચનામૃતમાં કથાવાર્તા - સત્સંગે કરીને હું વશ થાઉં છું તેમ જણાવ્યું છે. સત્સંગ કરીને ભગવાનનો મહિમા, નિષ્ઠા, ઉપાસના વગેરે તથા સ્નેહ, સંપ, સંગઠનમાં વૃદ્ધિ થાય તે આપણે કરવું. આ લક્ષ્ય સિદ્ધ કરવા ગામોગામ મંડળોની રચના કરવી અને ભજન ભક્તિ કથાવાર્તાના અખંડ અખાડા ચલાવવા. જ્યાં મંડળ હશે ત્યાં સંગઠન થશે, અને સ્નેહ, સંપ વધશે, સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે.

"શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ"ના ૭૫ મા સ્થાપના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચંદનના મનોરમ્ય વાઘા - શણગાર ધારણ કરીને દર્શન દાન અર્પતા મહાપ્રભુજી શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પૂજન - અર્ચન કરી અને પ્રાર્થના કરી હતી.

વળી, આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

(1:23 pm IST)