Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહેસાણાના રાધનપુર રોડ નજીક તસ્કરોનો તરખાટ:10.54 લાખની તસ્કરી થતા પોલીસ ફરિયાદ

મહેસાણા:શહેરના રાધનપુર રોડ પર આવેલી પ્રાથના વિહાર વિભાગ ૧ અને ગણેશ વિહાર સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રાત્રીના સુમારે ચોરીને અંજામ આપ્યો હતો.બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરનારય્જાણ્યા શખસોએ બન્ને સ્થળેથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.૧૦૫૪૮૦૦ના મુદ્દામાલની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.

મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ચારેક દિવસ પહેલાં એલસીબીએ ઘરફોડ અને મંદિર ચોરીના ગુનામાં સંડોવાયેલ દાહોદ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે,ત્યારબાદ પણ એવીજ મોડસ ઓપરેન્ડીથી મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી પ્રાથના વિહાર વિભાગ ૧ અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરોએ ઘરની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ બન્ને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૃ.૧૦.૫૪ લાખની મત્તાની ચોરી કરીને પલાયન થયા હતા.

ચોરી પહેલા સોસાયટીમાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા ચડ્ડી અને બનીયાન પહેરેલ છ જેટલા અજાણ્યા શખસો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટના અંગે  સવારે જાણ થતાં ઘર માલીક વિશાલભાઈ રમેશભાઈ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તસ્કરો સામે ગુનો દાખલ કરીને આરોપીઓનું પગેરૃ મેળવવા શોધખોળ શરૃ કરી હતી.

(5:47 pm IST)