Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીનાં શંકાસ્પદ મોત

પોલીસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ : મિલકત સબંધિત ગુનામાં બે આરોપીઓએ આપઘાત કર્યો કે પોલીસના મારથી મોત થયું એ બાબતે શંકા

નવસારી, તા.૨૧ : નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શકમંદ આરોપીનાં શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. બંને આરોપીઓના આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પ્રા્ત માહિતી પ્રમાણે ચીખલી પોલીસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે, ઉપરાંત પોલીસ સ્ટાફ પણ ૨૪ કલાક હાજર હોય છે, ત્યાં બંને આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે તે એક મોટો સવાલ ? નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોકવાનારી ઘટના બની છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીએ આપઘાત કરી લીધો છે.

પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે યુવકોને ચીખલી પોલીસ લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સબંધિત ગુનામાં સુનીલ સુરેશ પવાર (૧૯ વર્ષ, ડોલીપાડા, ડાંગ) અને રવિ સુરેશ જાદવને (૧૯ વર્ષ, નાકા ફળિયું, વઘઈ)ને ગઈકાલનાં રોજ પૂછપરછ અર્થે લાવામાં આવ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, આજે સવારે ૫થી વાગ્યાની વચ્ચે બંને આરોપીઓએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. હાલ અકસ્માતને મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે,

તેમજ નાયબ પોલીસ અધિક્ષકે આગળની તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. બંને આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લેતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. બંને શકમંદ આરોપીના મોત થયા બાદ હવે સવાલ છે કે, આરોપીઓએ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી બંનેનાં માત થયા છે? અથવા પોલીસના ટોર્ચરથી કંટાળીને બંનેએ આપઘાત કર્યો ?

(7:51 pm IST)