Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પરીણિતા બાળક સાથે પ્રેમીને મળવા માટે વિદ્યાનગર આવી

બંગાળની પરીણિતા પતિને છોડીને પ્રેમી પાસે આવી : યુવકની વય લગ્નને પાત્ર ન હોઈ અભયમની મદદથી મહિલાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ, પતિનો સંપર્ક કરાયો

આણંદ, તા.૨૧ : પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. આવું કંઈક આણંદ પાસે ગુજરાતના નાલંદાની ઓળખ ધરાવતી શિક્ષણ નગરી વિદ્યાનગરમાં જોવા મળ્યું છે. જેમાં વિદ્યાનગરમાં રહેતા ૧૮ વર્ષના યુવકને મળવા માટે તેની ૨૫ વર્ષીય પરિણીત પ્રમિકા છેક બંગાળથી પોતાના વર્ષના બાળક સાથે તેના ઘર સુધી પહોંચી જતા ભારે હોબાળો મચ્યો હતો. યુવતીની જીદ હતી કે તે યુવક સાથે આજીવન રહેવા માગે છે જ્યારે યુવકને હજુ તો ૧૮મું વર્ષ પૂર્ણ થયું હોય પરિવારને સંબંધ મંજૂર નહોતો. તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઈને ફોન કરીને મદદ માગી હતી.

અહેવાલ મુજબ યુવતી અને તેના પરિવાર વચ્ચેના વિવાદ બાબતે અભયમને એક વ્યક્તિનો કોલ આવતાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે ત્યાં પહોંચ્યા પછી સમગ્ર મામલો જાણ્યો ત્યારે ટીમના સભ્યો પણ ચોંકી ગયા હતા. કારણ કે યુવતી બંગાળી હતી અને તે યુવક સાથે રહેવા માગતી હતી. પ્રેમમાં આંધળી બનેલી પરિણીત યુવતી બસ એટલા માટે છેક બંગાળથી પોતાના વર્ષના સંતાનને લઈને વિદ્યાનગર યુવકના ઘરે પહોંચી ગઈ હતી. ૧૮૧ની ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે યુવક અને યુવતીનો પરિચય બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને એક મોબાઈલ ગેમ મારફત થયો હતો. ધીરે ધીરે રોજ વાત કરતાં કરતાં પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે.

તેવામાં યુવકના કહેવા પર યુવતી તેને મળવા માટે વિદ્યાનગર આવી પહોંચી હતી. હવે તેને પોતાના ઘરે જવું નહોતું અને યુવક સાથે રહેવાની જીદ પકડી હતી. જોકે યુવક લગ્નની કાયદાકીય ઉંમર ધરાવતો હોય અને પરિવારજનોને પણ સંબંધ મંજૂર હોઈ તેમણે અભયમની મદદ માગી હતી, જેને પગલે તેને સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. બીજી તરફ, તેના પતિને પણ અંગેની જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

મહત્વનું છે કે યુવકના પ્રેમમાં પાગલ યુવતીએ શરુઆતમાં ૧૮૧ અભયમની ટીમને ખોટું જણાવ્યું હતું. યુવતીએ ટીમને કહ્યું હતું કે તેનો પતિ હેરાન કરતો હતો અને તેના મા-બાપ પણ છે નહીં માટે પોતે અહીં આવી ગઈ છે.

જોકે ધીરે ધીરે વાતો કરીને યુવતીને વિશ્વાસમાં લીધા બાદ તેણે સમગ્ર હકીકત જણાવી હતી. દરમિયાન બીજી એક મહત્વની વાત પણ સામે આવી હતી કે યુવતી વિદ્યાનગર એટલા માટે આવી હતી કે સગીરે તેની સામે એવી શરત મૂકી હતી કે જો તે મળવા આવશે તો આગળ તેની સાથે વાત કરશે. જેથી પ્રેમમાં પાગલ પરિણીતા વિદ્યાનગર આવવા તૈયાર થઈ હતી. એટલું નહીં યુવકે તેને ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ કરાવી આપી હતી અને આણંદ બોલાવી હતી.

(7:52 pm IST)