Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

હાય રે નસીબ... હાય રે મજબુરી

બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં સામેલ ક્રિકેટરને આજે શાકભાજી વેચવાનો વારો

ભારતે શારજાહમાં પાકિસ્તાનને હરાવી ૨૦૧૮માં જીત્યો હતો બ્લાઇન્ડ વર્લ્ડ કપ

અમદાવાદ/સુરત, તા.૨૧: ૨૦૧૧માં ૨૮ વર્ષ બાદ ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનારી ટીમ પર ઈનામોની ઘણી વર્ષા થઈ હતી. પ્રધાનમંત્રીથી લઈને રાજય સરકાર તરફથી ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. ભારત આવવા પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે બીજી તરફ ૨૦૧૮માં ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીઓને હાલ કોઈ પૂછી પણ નથી રહ્યું. સ્થિતિ એવી છે કે ઘર ચલાવવા માટે તેમને શાકભાજી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે. સરકાર પણ તેમની પૂછી નથી રહી.

૨૦મી માર્ચે ૨૦૧૮એ પાકિસ્તાને શાહજાહમાં રાખેલા ૩૦૮ રનના લક્ષ્યનો પીછો કરનારી ટીમના પ્લેઈંગ ઈલેવનમાં રહેલા ગુજરાતના ક્રિકેટર નરેશ તુમડાની પણ આવી જ સ્થિતિ છે. ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપ જીતાડનાર નરેશ બે વર્ષ બાદ કોરોનાની મહામારીમાં અમદાવાદના જમાલપુર માર્કેટમાં શાકભાજી વેચવા માટે મજબૂર થયો છે.

નવસારીના વાંસદાના મૂળ વતની નરેશ પર પરિવારના પાંચ સદસ્યોના ભરણપોષણની જવાબદારી છે. બ્લાઈન્ડ ક્રિકેટર્સ માટે તેમની આશાથી એકદમ વિપરીત સરકાર નોકરી કે અન્ય કોઈ મદદ માટે આગળ નથી આવી રહી. બીજી તરફ મજૂરીકામ અને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોઈમેન્ટ ગેરેન્ટી એકટના કામ પણ ઓછા થઈ ગયા છે, એવામાં નરેશ પાસે અમદાવાદ આવીને શાકભાજી વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

નરેશ કહે છે, 'જયારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતી ત્યારે સરકારે અને કોર્પોરેશને તેમના પર પૈસાનો વરસાદ કર્યો હતો. અમે બ્લાઈન્ડ છીએ એટલે ઓછા મહત્વના ખેલાડીઓએ છીએ. સમાજે અમારી સાથે પણ એકસમાન વર્તન કરવું જોઈએ.'

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનથી ધીમી થયેલી ઈકોનોમીમાં માત્ર નરેશ તુગડા જ નહીં અન્ય સેકટરના પણ ઘણા પ્રોફેશનલ લોકો શાકભાજી વેચવા માટે મજબૂર થયા છે. અમદાવાદમાં બે જગ્યાએ ડાંસ કલાસ ચલાવતા કોરિયોગ્રાફર જયેશ નાયકે સ્ટુડિયોનું ભાડું ન પોસાતા કલાસ બંધ કરી દીધા છે અને શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ડાંસ કલાસ ફરી ચાલું થશે તો પણ સ્થિર આવકના સોર્સ માટે શાકભાજી વેચવાનું કામ ચાલું જ રાખશે.

સુરતના રત્ન કલાકાર નિરવ પટેલે પણ મહિને ૨૫,૦૦૦ રૂપિયાના પગારની નોકરી ગુમાવી દીધી છે. હવે તે શાકભાજીની હોમ ડિલિવરી કરે છે. તે કહે છે, કોરોના કાળમાં લોકો દ્યરની બહાર નીકળતા ડરે છે, જેના કારણે તેમના દરવાજા સુધી શાકભાજી પહોંચાડવાના મારા બિઝનેસને મદદ મળી.

જયારે મ્યુઝિક સિસ્ટમ પ્રોવાઈડર તેજસ દોમાડિયાએ જાન્યુઆરીમાં જ ૧૦ લાખ રૂપિયાની કિંમતે મ્યુઝિક સિસ્ટમ ખરીદી હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગથી મ્યુઝિલ રેન્ટલ બિઝનેસ અટકી જતા તેમણે કરેલા રોકાણથી કોઈ આવક ઊભી નથી થઈ રહી. એવામાં તેઓ પણ પોતાના વેરહાઉસની બહાર જ શાકભાજી વેચે છે.

(9:51 am IST)