Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પાર્ટીને લઈને બોલાચાલીમાં પ્રવીણની હત્યા કરવામાં આવી

સામ્રાજ્ય ફાર્મહાઉસમાં જમીન દલાલની હત્યાનો કેસ : પોલીસ ફાર્મહાઉસના સીસીટીવીના આધારે પણ તપાસ કરી રહી છે, એફએસએલને સીસીટીવી મોકલવામાં આવ્યા

ગાંધીનગર , તા.૨૧ : ગાંધીનગર ખાતે સામ્રાજ્ય ફાર્મહાઉસમાં જમીન દલાલ પ્રવીણ માણીયા હત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં લેટેસ્ટ અપડેટ મુજબ સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણવા ભેગા થયેલા મિત્રો વચ્ચે ખાવા-પીવાની પાર્ટીને લઈને બોલાચાલી થઈ હતી અને ઝઘડો ઉગ્ર બનતા પ્રવીણ માણીયાની હત્યા કરવામાં આવી હોવાનું હાલ સેવાઈ રહ્યું છે તેવું ગાંધીનગર સેક્ટર- પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું છે.

સેક્ટર- પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું કે, હજી કઈ ક્લીયર નથી થયું. બે મુખ્ય આરોપી હજી પકડાયા નથી. હાલ તો ખાવા-પીવાની પાર્ટી આપવા બાબતનું કારણ જણાઈ રહ્યું છે. ' કઈ પાર્ટી નથી, એનાથી સારી હું આપું', તે બાબતે બોલાચાલી થતાં આરોપીઓ ઉગ્ર બન્યા અને ફાયરિંગ કર્યું હોવાનું હાલ જણાઈ રહ્યું છે.

 તપાસના ભાગરૂપે ફાર્મહાઉસની સીસીટીવી એફએસએલમાં મોકલ્યા છે અને ક્લીયર થઈને આવશે. વાસણા હડમતિયાના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં શુક્રવારની મોડી રાત્રે મિત્રોની દારૂની મહેફિલ ચાલી હતી. જેમાં મૃતક પ્રવીણ માણિયા અને તેમના મિત્રો જયદીપસિંહ સોનુસિંહ ગોહિલ, તરૂણસિંહ અશોકસિંહ ઝાલા, હરપાલસિંહ જશવંતસિંહ સરવૈયા, જનક અનકભાઇ વિંછીયા, સંતોષ સોડાભાઇ ચોસલા, મોહિત અમરતભાઇ રબારી અને જયરાજસિહ દિગ્વિજયસિંહ રાણા હાજર હતા.

બાદમાં સામાન્ય બબાલમા જયદીપસિંહ અને તરૂણસિંહ ઝાલાએ પ્રવીણ માણીયા પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, હાલ બંને મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સમગ્ર મામલે એફએસએલની ટીમ હત્યાકાંડવાળી ઓફિસની લંબાઈ પહોળાઈ માપવા માટે સામ્રાજય ફાર્મ હાઉસ પર પહોંચી હતી.

ઉપરાંત પોલીસ ફાર્મહાઉસના સીસીટીવીના આધારે પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સરગાસણમાં વૈભવી ફ્લેટમાં રહેતા પાટીદાર સમાજમાં આગવી ઓળખ ધરાવતા કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ માણીયાની ગોળી મારી થયેલી નિર્મમ હત્યા થતાં પરિવારજનો આઘાતમાં છે. ગાંધીનગરમાં સ્થાયી થયેલા પ્રવીણભાઈ રાજકીય રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ અગાઉ બે વાર કોંગ્રેસમાંથી ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. જેમાંથી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને તે અમેરિકામાં સ્થાયી થયેલી છે. જ્યારે દીકરો સરગાસણમાં રહે છે. એટલું જ નહીં, તેમના ફાર્મહાઉસમાં પાટીદાર આંદોલનની બેઠકો પણ યોજાતી હતી.

(9:27 pm IST)