Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમદાવાદની વૈવિધ્‍યતાને નવી પેઢી જાણે અને ટુરિઝમનો વિકાસ થાય તે માટે સિટી મ્‍યુઝીયમ બનાવવુ જોઇએઃ નરેન્‍દ્રભાઇ મોદી

વિવિધ વોર્ડમાં સ્‍વચ્‍છ, સુશોભન અને સુંદરતાના માપદંડને ધ્‍યાનમાં રાખીને દર મહિને એક સ્‍પર્ધા રાખોઃ અમદાવાદમાં મેયર કોન્‍ફરન્‍સમાં વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ હતુ કે, શહેરના ભવ્‍ય ભુતકાળને જીવંત રાખવા દરેક શહેરમાં સીટી મ્‍યુઝીયમ બનાવવા જોઇએ. અમદાવાદ ખાતે બે દિવસીય મેયર કોન્‍ફરન્‍સમાં 150થી વધુ મેયરો અને ડેપ્‍યુટી મેયરો ઉપસ્‍થિત રહ્યા હતા. વડાપ્રધાન આ તકે વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત રહ્યા હતા.

પીએમ મોદીએ અમદાવાદ વિશે વાત કરતા જણાવ્યું હતુંકે, અમદાવાદનું વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે બહુમાન કરવામાં આવ્યું છે. તો આપણાં શહેરની સારી-સારી તસવીરો, ઈતિહાસની ઝાંખીના દર્શન કરાવતી બાબતોને એક તાતણે સાંકળીને એક સીટી મ્યુઝિયમ બનાવવું જોઈએ. ન માત્ર અમદાવાદ પણ દરેક મેયરે પોતાના શહેરમાં એક સીટી મ્યુઝિયમ બનાવવું જોઈએ. આ ઉપરાંત તેમણે દરેક મેયરને પોતાના શહેરનો જન્મ દિવસ ઉજવવા પણ તાકિદ કરી છે. સાથે જ શહેરમાં આવતા વિવિધ વોર્ડમાં સ્વચ્છ, સુશોભન અને સુંદરતાના માપદંડને ધ્યાનમાં રાખીને દર મહિને એક સ્પર્ધા રાખવાનું પણ તેમણે કહ્યું છે. તેથી આગામી દિવસોમાં અમદાવાદ સહિત ભાજપ શાસિત શહેરોમાં આ બાબતો ચોક્કસથી લાગૂ કરવામાં આવશે. હાલ અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર ખાતે એક વર્ષો જુની શહેરનું મ્યુઝિયમ આવેલું છે. જોકે, હવે સમયની સાથે તેને અપડેટ કરાશે અથવા નવા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ નવા સ્થળ પર તેનું નવા રંગરૂપ સાથે રૂપાંતર થઈ શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેડિંગ કમિટિ અને મેયર આ અંગે નિર્ણય કરી શકે છે.

ઉલ્લેખનીય છેકે, ભાજપ દ્વારા અમદાવાદના આંગણે બે દિવસીય મેયર કોન્ફ્રન્સનું આયોજન કરાયું. જેમાં ભાજપના 150થી વધારે મેયર અને ડેપ્યુટી મેયરો જોડાયા છે. આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા જ્યારે પરોક્ષ રીતે પ્રધાનમંત્રી મોદી પણ જોડાયા હતાં. ઘણીવાર પ્રધાનમંત્રી મોદી આવા કાર્યક્રમોમાં જ ભાજપના કાર્યકરો અને મોવળી મંડળને એમના સુચનો જણાવતા હોય છે. જેને પક્ષ દ્વારા આદેશના રૂપમાં જ જણીને ગંભીરતા પૂર્વક તેના પર કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આ મેયર કોન્ફરન્સમાં પીએમ મોદીએ અમદાવાદ અંગે વાત કરતા કહ્યું હતુંકે, શહેરની વૈવિધ્યતાને નવી પેઢી જાણી શકે અને ટુરિઝમનો પણ વિકાસ થાય તે આશયથી અમદાવાદમાં સીટી મ્યુઝિયમ બનાવવું જોઈએ.

આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું હતુંકે, આજે તમે જે અમદાવાદ શહેરમાં છો તેની પોતાની એક આગવી પ્રાસંગિકતા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેક અમદાવાદના મેયર રહ્યાં હતાં. અહીંથી જે એમની શરૂઆત થઈ હતી. અને તેઓ દેશના નાયબ પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યાં. સરદાર સાહેબે તે સમયે મ્યુનિસિપાલિટીમાં જે કામ કરેલું તે સમયના કામને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમને પણ લોકો તમારી કામગીરી માટે લોકો વર્ષો સુધી યાદ રાખવા જોઈએ કે કોઈ ભાજપના મેયર આવ્યાં હતા ક્યારે સરસ કામગીરી થઈ હતી. માણસોના જીવનને આસાન બનાવવા તમારે પ્રયાસ કરવો જોઈએ. મેં પોતે પણ વર્ષો સુધી ગુજરાતના લોકોની સેવા કરી છે.

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતુંકે, 2014 પહેલાં શહેરી ગરીબો માટે પહેલાં 20 હજાર કરોડનું બજેટ હતું છેલ્લાં 8 વર્ષમાં આજે 2 લાખ કરોડથી વધારે બજેટ આપીએ છીએ. આમ, ભાજપ સરકાર સમાજના ગરીબ અને મધ્યવર્ગનું પણ વિશેષ ધ્યાન રાખે છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે જેતે શહેરના મેયરની પણ એજ પ્રાથમિકતા હોવી જોઈએ કે તેમના શહેરનો કોઈપણ નાગરિક સરકારી તંત્રની બેદરકારી કે લાપરવાહીને કારણે પરેશાન ન થાય. એટલું જ નહીં ગુજરાતે બીઆરટીએસનો પ્રયોગ સૌથી પહેલાં પ્રારંભ કર્યો છે. આજે દેશભરના બીજા શહેરોમાં એપ બેજ કેપ ચાલે છે. પણ ગુજરાતમાં વર્ષો પહેલાં જી-ઓટોના નામે ઈનોવેટિવ રિક્ષા સર્વિસ શરૂ થઈ હતી. આજે રિજનલ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ચર્ચા થાય છે પણ ગુજરાતમાં વર્ષો પહેલાંથી આ મોડેલ પર કામ થતું હતુ. તેથી આપણે ખુબ આગળનું વિચારીને કામ કરવું પડશે. મેયરોએ એકબીજા પાસેથી ઘણું બધું શિખવાનું છે.

(4:53 pm IST)