Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાતના શહીદ જવાનના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ અને પરિવારના વારસદારને સરકારી નોકરી આપો : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ભાજપ સરકાર સમક્ષ માગણી

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા વણઝારીયા ગામના સેનાના જવાન હરીશભાઈ પરમાર શહીદ થયા હતા, એક તરફ અમને ગર્વ છે કે હરીશભાઈએ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ બીજી તરફ તેમના મૃત્યુનું દુઃખ પણ

રાજકોટ તા.૨૧ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપ સરકારના  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ,મુખ્યમંત્રી સાહેબ, તમારી જાણકારીમાં જરૂરથી હશે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલા ગોળીબારમાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા વણઝારીયા ગામના સેનાના જવાન હરીશભાઈ પરમાર શહીદ થયા હતા, એક તરફ અમને ગર્વ છે કે હરીશભાઈએ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ બીજી તરફ તેમના મૃત્યુનું દુઃખ પણ છે.

હરીશભાઈ માત્ર ૨૫ વર્ષના હતા અને પોતાના પિતાના મોટા પુત્ર હતા, નાનો ભાઈ હજી ભણી રહ્યો છે તેમનો પરિવાર આર્થિક રૂપથી સઘ્ધર નથી અને હવે તો તેમનો એકમાત્ર આધાર પણ છીનવાઇ ગયો છે. બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારું નિવેદન છે કે શહીદના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ રાશિ અને તેમના કોઈ એક વારસને સરકારી નોકરી અપાય.

પુલવામા હુમલા બાદ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના શહીદ જવાનના પરિવારને તે સમયના મુખ્યમંત્રી કમલનાથે એક કરોડ રૂપિયાની મદદ રાશિ ની ઘોષણા કરી હતી. દેશમાં આવા અનેક ઉદાહરણ છે. જ્યારે આપણી સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે તો શું સરકારની આ જવાબદારી નથી બનતી કે સર્વોચ્ચ બલિદાન બાદ તે શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપે અને તેમનું ધ્યાન રાખે.

 

ગુજરાતની જનતા તરફથી અમારી માંગ છે કે હરીશભાઈ ના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ અને તેના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે. આશા છે કે આપની સરકાર શહીદને આ સન્માન આપવામાં મોડું નહિ કરે.તેમ અંતમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપ સરકાર સમક્ષ કરેલી  માગણીમા જણાવ્યું છે.

(6:50 pm IST)