Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વડોદરામાં પંચવટી કેનલમાં અજાણ્યા યુવકે ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરમાં મારે મરવુ છે,તેમ કહીને ગોરવા પંચવટી કેનાલમાં ઝંપલાવીને અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઇને યુવકની લાશ બહાર કાઢી હતી.પરંતુ,યુવકના ખિસ્સામાંથી કોઇ કાગળ નહી મળતા તેની ઓળખ થઇ શકી નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આજે બપોરે ગોરવા પંચવટી નર્મદા કેનાલ પાસે કેટલીક મહિલાઓ કપડા ધોતી હતી.તે દરમિયાન,એક યુવક આવ્યો હતો.તેણે કેનાલના કિનારે કપડા કાઢીને મારે હવે જીવવુ નથી,મરી જવુ છે.તેમ કહીને કેનાલના પાણીમાં કૂદકો માર્યો હતો.કેનાલ પાસે કપડા ધોતી મહિલાઓએ બૂમાબૂમ કરતા ત્યાંથી  પસાર થતો યુવક ઉભો રહ્યો હતો.અને તેણે ફાયરબ્રિગેડ તેમજ પોલીસને ફોન કરીને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવીને યુવકની લાશ બહાર કાઢી હતી.ગોરવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એસ.જી.શ્રીપાલે તપાસ કરતા યુવકના કપડામાંથી કોઇ એવી વસ્તુ મળી નહતી કે જેથી,તેની ઓળખ થઇ શકે.જેથી,પોલીસે તેનો ફોટો લઇને આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.યુવકે કમરે ઓઢણી બાંધી હતી અને માસ્ક પણ પહેર્યો હતો.

(5:56 pm IST)