Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, છોટુ વસાવા આદિવાસીઓને છેતરે છે ; મહેશ વસાવા તો મચ્છર છે

સાંસદે કહ્યું શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.

રાજપીપળા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભા હતી. એ સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા. એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.

  રાજપીપળા પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સાંસદ કેમ ચુપ છે એવા પ્રશ્નો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે રાજપીપળામાં કેટલાક દૂધના ધોયેલાઓ નિકળી પડ્યા છે. 100 चूहे खाकर बिल्ली हज को चली.મારા નામે નનામી પત્રિકાઓ મોકલનારા શાનમાં સમજી જાવ, ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને આવડે છે ચૂંટણી છે એટલે મને મર્યાદા નડે છે. મને બધા જ દાવ આવડે છે હું અભિમન્યુ નથી કે 6 કોઠા જ જાણું છું, મને 7 કોઠાનું જ્ઞાન છે અને 8 મો કોઠો પણ શીખી રહ્યો છું. મને બિલકુલ પણ છંછેડવાનો પ્રયત્ન કરતા નહિ, જો મને વધારે છંછેડશો તો મારી પાસે પણ તમારી કેસેટો છે ખોલતા બિલકુલ વાર નહિ લાગે.હું એવા નફ્ફટ અને નાલાયકોથી ગભરાતો નથી

  મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર 1% લોકો રાજપીપળાને બાનમાં લે છે. રાજપીપળામાં કેવા આકાઓ હતા, નિર્દોષ લોકોને કોણ રંજાડતું હતું, ક્યાં વોર્ડમાં ક્યાં વિસ્તારમાં તલવાર-ધારીયા નીકળતા હતા અને સારા સારા વ્યક્તિઓ પર હુમલાઓ થતા હતા એ ભૂલતા નહિ.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળામાં ભાજપના રાજમાં જ શાંતિ આવી છે

   મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું કોઈ અંગૂઠા છાપ સાંસદ નથી કે મને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય.મેં ગુજરાત વિદ્યાપીઠ માંથી MSW કર્યું છે, મને IAS કક્ષાની નોકરી મળતી હતી પણ મેં રાજકારણમાં આવી સેવા કરવાનું પસંદ કર્યું.મારે જો ભ્રષ્ટાચાર જ કરવો હોત તો મારા અલગ અલગ જગ્યાએ મોટા મોટા બંગલાઓ હોત જમીનો હોત.મારી પર ખોટા ખોટા આક્ષેપો લગાવવાના બંધ કરો.પૈસા કમાવવાનો નહિ પણ લોકોની સેવા કરવી એ જ મારો ધર્મ છે

    ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે હાલ રાજકારણ ગરમાયુ છે.BTP કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે સરકારે કાચી એન્ટ્રીઓ ચૂંટણી પૂરતી રદ કરી છે, ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે BTP લોકોને ગેરમાર્ગે દોરે છે, સરકારે કાયમી એન્ટ્રીઓ રદ કરી છે.પાછલા બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાવ.છોટુ વસાવા આદિવાસીઓનો મસિહા નહિ પણ આદિવાસીઓને ઠગનારા છે, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા તો મારી માટે મચ્છર છે, એ તો કાચીડાની જેમ રંગ બદલે છે.ખોટી વાત કેહેનારાઓને હું આ વખતે એમનું સ્થાન બતાવી દઈશ.

(9:20 am IST)