Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ભરઉનાળે પાણીનો પોકાર: અમદાવાદ મનપા ઓફિસ બહાર પાણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાયો

મહિલાઓએ ખાલી પાણીની ડોલ ઉછાળી એએમસી પરિસર પર ફેંકી: તમામ પ્રવેસ ગેટ બંધ કરાયા :એએમસી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયુ

અમદાવાદ : ભરઉનાળે પાણીનો પોકાર જાગ્યો છે,અમદાવાદ મહાનગર પાલિકા ઓફિસ બહાર પાણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સાથે સ્થાનિકો પણ પાણીની ખાલી બાલટી લઇ એએમસી ઓફિસ બહાર ઘસી આવ્યા હતા. મહિલાઓએ ખાલી પાણીની ડોલ ઉછાળી એએમસી પરિસર પર ફેંકી હતી. હલ્લાબોલના પગલે એએમસી પરિસરના તમામ પ્રવેસ ગેટ બંધ કરાયા હતા. એએમસી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. પોલીસ, એએમસી બાઉન્સર અને કોગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિત કેટલાક કાઉન્સિલરોએ એએમસી પરિસરનો મેઇન ગેટ કુદી પ્રવેશ મેળવ્યો હતો. સત્તાધીશો હાજર ન રહેતા આખરે ડેપ્યુટી કમિશનરને આવેદન પત્ર અપાયું હતું . આ પહેલા કમિશનર ઓફિસ બહાર દરવાજ પર આવેદન પત્ર લગાવામા આવ્યું હતું.

AMC ના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ-રસ્તા, ડ્રેનેજ, તથા પીવાના પાણીની સુવિધા મળવી તે શહેરીજનોનો મૂળભુત અધિકાર છે. સત્તાધારી ભાજપ દ્વારા મ્યુનિ.કોર્પો.માં છેલ્લા 10 વર્ષથી 24 કલાક પાણી આપવાના જુઠા વાયદા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા ખૂબ જ ગંભીર છે. શહેરના કેટલાય વિસ્તારોમાં 1 કલાક પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી તેને કારણે પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે મ્યુનિ.કોર્પોના વોટર પ્રોજેકટ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.

અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણીની લાઇનો જુની થઇ ગઇ હોવાથી ગંદા અને પ્રદુષિત પાણીની સમસ્યાને કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી જાય છે. કેટલાય વિસ્તારોમાં કેમિકલ, ડ્રેનેજની દુર્ગંધ મારતું પાણી તથા કલરવાળું પાણી આવતું હોવાની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પ્રદુષિત પાણીને કારણે શહેરીજનો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. અમદાવાદના મક્તમપુરા, ખાડીયા, વટવા, મણિનગર, શાહીબાગ, અસારવા બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, કુબેરનગર, શાહપુર, દરિયાપુર, જમાલપુરના મોટા ભાગના વિસ્તારોમાં ટેન્કરરાજ જોવા મળે છે. તેમ જ શહે૨ના સાત ઝોનમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રદુષિત પાણી તથા અપુરતા પ્રેશરની સમસ્યા જોવા મળે છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ સાબિત થયેલ છે.

શહેરના સાતેય ઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યાને કારણે પાણીજન્ય રોગચાળા તાવ અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં અભુતપૂર્વ વધારો થવા પામેલ છે. ગત માસ દરમ્યાન શહેરના સાત ઝોનમાં થઇ તાવના કુલ 17793 તથા ઝાડા-ઉલ્ટીના 4626 દર્દીઓ માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં નોંધાયા છે. ત્યારે મ્યુનિ.હોસ્પિટલ તથા ખાનગી કલીનીક અને હોસ્પિટલની મળી કેટલી મોટી સંખ્યા થાય તે વિચારણા માંગી લે તેવી બાબત છે. સત્તાધારી ભાજપ દ્વારા બજેટમાં 100 % પાણીનું નેટવર્ક સ્થાપવાની વાતો કરવામાં આવે છે પરંતુ આજે પણ શહેરમાં 20% વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી જ્યાં છે ત્યાં પ્રદુષિત પાણી તથા અપૂરતા પ્રેશરની સમસ્યા છે. આ બધાનું કારણ ભષ્ટ્રાચાર તથા કોન્ટ્રાકટરોને મોટી રકમનાં કોન્ટ્રાકટ આપી પ્રજાના નાણાંની લ્હાણી કરવામાં આવે છે અને કામની ચકાસણી કરવામાં આવતી નથી તેનો ભોગ છેવટે શહેરીજનોને બનવું પડે છે જે ખરેખર દુ;ખદ બાબત છે.

શહેરના રાસ્કા, કોતરપુર અને જાસપુરના વોટર વર્કસ ખાતે હાલમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે વોટર સપ્લાય વધારવાની યોજનાઓ કરવામાં આવે છે. પરંતુ શહેરના રાસ્કા, કોતરપુર અને જાસપુરના વોટર વર્કસ ખાતે 1500 એમ.એલ.ડી. દૈનિક પાણીનો જથ્થો સપ્લાય કરી શકાય તેવી ક્ષમતા છે. આ જથ્થો શહેરીજનોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે પુરતો છે. પરંતુ અધિકારીઓની નિષ્ફળતા અને વિતરણના નેટવર્કની સમસ્યાને કારણે શહેરીજનોને પુરતું સમયસર અને શુધ્ધ પાણી મળતું નથી તેથી પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવાની જરૂર છે.

(10:28 pm IST)