Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

વડોદરામાં લવ જેહાદ કેસમાં ઘટસ્ફોટઃ આરોપી સમીર કુરેશીએ પીડિતાનો ગર્ભપાત કરાવ્યાનું ખુલતા ખળભળાટ

વડોદરા: વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લવ જેહાદના કેસ મામલે વડોદરા પોલીસ તપાસમાં આરોપી સમીર કુરેશીએ પીડિતાનો ગર્ભપાત કરાવ્યો હોવાનો સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે પીડિતાના આરોપી સાથે નિકાહ કરાવનાર કાઝીને પણ સમન્સ મોકલાવ્યું છે.

ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ વડોદરામાં લવ જેહાદનો પ્રથમ ગુનો નોંધાયો હતો. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે. ત્યારે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લવ જેહાદના કેસ મામલે આરોપી સમીર કુરેશીએ રેસકોર્સની હોસ્પિટલમાં પીડિતાનો ગર્ભપાત કરાવ્યો હતો. જ્યાં આરોપી સમીર કુરેશીએ હોસ્પિટલમાં ભોગ બનનાર યુવતીના પતિ તરીકે ફોર્મ ભર્યું હતું. આ મામલે પોલીસે હોસ્પિટલ પાસેથી પુરાવા મેળવ્યા છે. આ ઉપરાંત ગોત્રી પોલીસે આરોપી સમીર કુરેશી અને પીડિતાના નિકાહ કરાવનાર કાઝીને પણ સમન્સ મોકલાવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ડીસીપી ઝોન-2 ના જયરાજ સિંહ વાળાએ માહિતી આપી હતી કે, યુવક સામે દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ કરવામાં આવી છે. પીડિતા સોશિયલ મીડિયાના માધ્યમથી સમીર અબ્દુલ કુરેશી નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીની સામે ધર્મ છુપાવ્યો હતો. તેણે યુવતીને ખ્રિસ્તી હોવાનું કહ્યં હતું. તેણે યુવતીને પોતાનું નામ માર્ટીન સેમ જણાવ્યું હતું.

યુવતીને હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન યુવકે મોબાઈલમાં વીડિયો અને ફોટા ક્લિક કર્યા હતા. આ બતાવીને યુવકે અવારનવાર તેને બ્લેક મેઇલ કરી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, તે દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન પણ કરાવ્યું હતું. તેમજ યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કર્યા હતા.

યુવતીએ હિન્દુ ધર્મ છોડવાનીના પાડી હતી, તેથી યુવકે તેને ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. તેણે યુવતીનું નામ બદલીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. જો કે, આરોપી સમીર અબ્દુલ કુરેશી તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે. યુવકની હકીકત સામે આવતા પીડિતા પોલીસ સામે આવી હતી. જેથી લવ જેહાદ કાયદા અંતર્ગત પહેલો ગુનો દાખલ થયો હતો.

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો આજથી ગુજરાતમાં લાગુ થઇ ચુક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે.

(4:57 pm IST)