Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

નડિયાદ તાલુકાના ફતેપુરામાં ઉછીના પૈસા આપવાની ના કહેતા યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : નડિયાદ તાલુકાના ફતેપુરા સીમ કેનાલ નજીક શનિવારે રાત્રિના સલુણ ના યુવકની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. હત્યારા શખ્સે મરણ જનાર યુવકને હાથ ઉછીના આપેલા રૂ. ૫૦ ની માંગણી કરતાં તેને પૈસા આપવાની ના પાડી હતી અને બહેન વિશે ગમે તેમ અપશબ્દો બોલતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડાના ડંડાથી મૂઢ માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતક યુવકની લાશને ગરનાળાની બાજુમાં આવેલા ખેતરમાં મૂકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારા શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

નડિયાદ તાલુકાના સલુણ ગામમાં દિનેશ ભાઈ રઇજીભાઈ ગોહેલ પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે તા.૧૮મીના રોજ રાત્રિના સીમમાં રહેતો ગુણવંત ઉફેઁ ભૂરીયો કાંતિભાઈ પરમાર દિનેશ ભાઈના  નાનાભાઈ રાજુભાઈ ( ઉ. વ.૨૫ ) ને બોલાવી બાઈક પર  સલુણ તાબાના હઠીપુરા પરામાં આવેલ પોતાના ઘરની પાસે આવેલી નાની કેનાલ ગરનાળા પાસે રોજિંદી બેઠક વાળી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં રાજુભાઇ તથા ગુણવંત બંને મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન ગુણવંત એ અગાઉ આપેલ રૂ.૫૦ રાજુભાઈ પાસે પરત માંગતા રાજુભાઈ એ નાણા આપવાની ના પાડી હતી અને ગુણવંતની બહેન વિશે અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ગુણવંત એકદમ ઉશ્કેરાઈ જઇ લાકડાં નો ડંડો લાવી રાજુભાઈને મૂઢ માર મારતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ ગુણવંત રાજુની લાશને ગરનાળાની બાજુમાં આવેલ મફતભાઈ છોટાભાઈના ખેતરમાં મૂકી દીધી હતી. 

(6:28 pm IST)