Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમદાવાદ રેલ્વે સ્ટેશને ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુદ્ધ કરીને તેને પુનઃ વપરાશ માટેનો પ્રયોગઃ ૨૦૦ કેએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત

અમદાવાદ :હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તમામ લોકો પોતાનાથી બનતા પ્રયત્નો પાણીના બચાવ માટે કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુદ્ઘ કરી તેના પુનઃ વપરાશ (water reuse) માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વિચાર હેઠળ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શહેરના કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ) ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે. 

રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરાશે 
ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફાયટો રેમિડિએશન સિસ્ટમથી પાણી ટ્રીટ કરી રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરવામાં આવશે. અમદાવાદ (western railway) માં રોજની 200થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ તમામ ટ્રેનો અમદાવાદ યાર્ડમાં પહોંચે ત્યારે તેને ધોવામાં આવે છે. આ ટ્રેનો ધોવા માટે રોજ 160 કેએલડીથી વધુ પાણીની જરૂર પડે છે. 

ટ્રેન ધોવા વપરાતા પાણીનો રિયુઝ કરાશે 
ટ્રેન ધોવા માટે અત્યાર સુધી ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરિણામે એક વાર ટ્રેન ધોયા બાદ પાણી ગટરમાં વહી જતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હતો. પરંતુ પાણીની બચત થાય તેમજ પર્યા‌વરણ પણ જળવાઈ રહે, તે હેતુથી કાંકરીયા યાર્ડમાં જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 

કેવી રીતે પાણી બચાવાશે

  • યાર્ડમાં ટ્રેન ધોયા બાદ વહી જતા વેસ્ટ પાણીને પાઈપલાઈનથી ફરી એક ટાંકીમાં ભેગું કરાય છે. 
  • જ્યાં ટાંકીમાં જતાં પહેલા પાણીમાંથી ઘન કચરો જાળી દ્વારા બહાર કાઢી લેવાય છે. 
  • 6 ટાંકીમાંથી પાણીને તબક્કાવાર વિવિધ પ્રક્રીયા માંથી પસાર કરાય છે. 
  • આ તમામ ટાંકી પર છોડ લગાવવામાં આવ્યા છે, જે પાણીમાં રહેલો નાઈટ્રોજન ખેંચી લે છે. જેના કારણે છોડનો પણ સારો ઉછેર થાય છે. 
  • આ પાણી પાંચ ટાંકીમાંથી પસાર થયા બાદ સેમી ફિલ્ટર થતાં છઠ્ઠી ટાંકીમાં જાય છે. 
  • ત્યાંથી મોટર દ્વારા પાણીને પહેલા કાર્બન ફિલ્ટર બાદ સેન્ડ ફિલ્ટરમાંથી પસાર કરાય છે. 
  • છેલ્લે પાણીને અલ્ટ્રા વાયોલેટયુક્ત પાઈપ લાઈનમાંથી પસાર કર્યા બાદ પાણી શુદ્ધ થતાં તેને ટાંકીમાં ભરી ફરી કોચ ધોવા માટે ઉપયોગમાં લેવાય છે. 

હાલ આ પ્લાન્ટની સફળતાને જોતા આગામી સમયમાં અન્ય સ્થળો ઉપર પર જરરૂીયાત મુજબ આવા પ્લાન્ટ ઉભા કરવાની વિચારણા રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી રહી
છે.

(5:08 pm IST)