Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમદાવાદ સાયન્સ સીટીમાં રૂ. ૨૬૬ કરોડના ખર્ચે બનેલ એકવેટિક ગેલેરીમાં માછલીઓને વાતાવરણ માફક ન આવ્યુઃ દરરોજ ૩ થી ૫ દુર્લભ માછલીઓના મોતથી જીવદયાપ્રેમીઓમાં ચિંતા

અમદાવાદ :દરિયાથી દૂર, જમીનના ભાગમાં હોય એવું વિશ્વનું એકમાત્ર મોટું એક્વેરિયમ ગુજરાતમા બનાવાયુ છે, જેનુ તાજેતરમાં જ પીએમ મોદી (PM Modi) દ્વારા વરચ્યુઅલ ઉદઘાટન કરાયું. હોંશેહોંશે શરૂ કરાયેલા ભારતના આ સૌથી મોટા એક્વેરિયમ મામલે ખરાબ સમાચાર સમાચાર આવી રહ્યા છે. માછલી ઘરમાં દરરોજ 3 થી 5 માછલીઓના મોત થઈ રહ્યા છે, જેમને વિદેશથી લાવવામાં આવ્યા છે. આ માછલીઓ અતિ દુર્લભ પ્રકારની છે.  

ગેલેરીનુ વાતાવરણ માછલીઓને માફક ન આવ્યું 
સાયન્સ સિટી માં રૂપિયા 266 કરોડના ખર્ચે એક્વેટિક ગેલેરી બનાવાઈ છે, પણ ઉદઘાટનના બીજા દિવસે જ આ ગેલેરી રામભરોસે મૂકાઈ છે. અહી દરરોજ 3 થી 5 માછલીના મોત થઈ રહ્યા છે. એક્વેટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થઈ રહ્યા છે. કહેવાય છે કે, સાયન્સ સિટીની એકવેટિક ગેલેરીનું વાતાવરણ માછલીઓને માફક નથી આવી રહ્યું. વાતાવરણ અને ફૂડ માફક ન આવતા માછલીઓના મોત થઈ રહ્યા છે. 

દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11,690 માછલીઓ અહી લાવવામા આવી છે. એક્વેટિક ગેલેરીમાં મૂકાયેલી માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન લાગી રહી છે. દેશના સૌથી મોટા અને સર્વશ્રેષ્ઠ એકવેરિયમમા અનેક માછલીઓના મોત માટે હજી સુધી કેમ કોઈ પગલા નથી લેવાયા. 

ઉલ્લેખનીય છે કે, 15 હજાર ચો.મી.ના ક્ષેત્રફળમાં આ એક્વાટિક ગેલરી બનાવાઈ છે. જેમાં તાજું પાણી, ખારું પાણી અને દરિયાઈ પાણી ધરાવતી 68 મોટી ટેંક બનાવાઈ છે. આ ટેંકમાં શાર્ક, ઝેબ્રા શાર્ક અને ગ્રે રીફ શાર્ક ઉપરાંત પેંગ્વિન જેવી હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી 188 દરિયાઈ પ્રજાતિ રાખવામાં આવી છે. આ એક્વિરેયમને સાચવવામાં સૌથી મોટી ચેલેન્જ તેને અનુકૂળ વાતાવરણ આપવાનુ છે. વાસ્તવિક જીવસૃષ્ટિને સાચવવા ઉપરાંત એને અનુકૂળ એક્વેરિયમનું વાતાવરણ બનાવવાનું છે. કુદરતી તાપમાન જાળવવું અને પાણીની ગુણવત્તા, ઓક્સિજનની ગુણવત્તા, ખોરાક, ગ્રીન એન્વાયર્નમેન્ટ એ બધું આપવું પડે તો જ માછલીઓ જીવિત રહી શકે.

(5:09 pm IST)