Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

તેમના ૧૪ વર્ષની લિવરની તકલીફ છેલ્લા સ્ટેજમાં પહોંચી !!!..જીવવાની આશા ગુમાવી બેઠા....ત્યારે “અંગદાનમાં મળેલા લીવર”ના પ્રત્યારોપણથી “જીંદગીને વેલકમ” કર્યું: ૧૪ વર્ષથી લિવરની સમસ્યાથી પીડાઈ રહેલા મનીષાબહેનને અંગદાનમાં મળેલા લિવરથી નવજીવન પ્રાપ્ત થયું

ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૪૦-૫૦ લાખના ખર્ચે થતું લિવર ટ્રાન્સપ્લાન્ટ IKDRCમાં વિનામૂલ્યે સંપન્ન થયું – હિતેશભાઇ મોદી (લાભાર્થીના પતિ) : PMJAY કાર્ડ અને પ્રધાનમંત્રી રાહતફંડની મદદના ધોધથી મનિષાબેનને નવજીવન પ્રાપ્ત થયુ

રાજકોટ તા.૨૨ અમદાવાદ સિવિલ મેડિસીટી ખાતે આવેલી વિશ્વની સૌથી વિશાળ કિડની ઇન્સ્ટિટ્યૂટ્સ પૈકીની એક એવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝીસ ઍન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ના નૅફ્રોલોજિસ્ટ્સે લાસ્ટ સ્ટેજમાંથી પસાર થઈ રહેલી એક મધ્યમ વર્ગની મહિલાને અંગદાન દ્વારા પ્રાપ્ત થયેલા લિવરનું પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ અંદાજીત રૂ. ૪૦ થી ૫૦ લાખ થાય, તેવું આ જટિલ ઓપરેશન IKDRCમાં કેન્દ્ર સરકારના પીએમ JAY - આયુષ્માન ભારત કાર્ડ અને પ્રધાનમંત્રી રાહત ફંડના સહયોગના લીધે વિનામૂલ્યે સંપન્ન થયું છે. 

છેલ્લાં ૨૦ વર્ષથી હિતેશકુમાર નવીનચંદ્ર મોદી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પત્ની, પુત્રી, માતા-પિતા સહિત કુલ પાંચ લોકોના મધ્યમવર્ગીય પરિવારમાં રહે છે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશકુમારના પત્ની મનીષાબહેન છેલ્લાં ૧૪ વર્ષથી “લિવર સિરોસિસ” ની ગંભીર સમસ્યાથી પારાવાર પીડાઈ રહ્યાં હતાં. શરૂઆતમાં તેમણે પેટના ડોક્ટરનો સંપર્ક કર્યો, તેમણે એન્ડોસ્કોપી કરતા લિવર ડેમેજ હોવાનું જણાયું. 

વિતેલા ૧૪ વર્ષમાં હિતેશભાઈએ પોતાની પત્નીની સારવાર અને દવા માટે ખૂબ ખર્ચ કર્યો પરંતુ ક્યાંયથી સંતોષજનક પરિણામ નહોતું મળતું. ૨૦૧૮માં લિવરમાં પાણી ભરાવું શરૂ થઈ ગયું, જેથી પરિસ્થિતિ ધીરે ધીરે ગંભીર બનવા લાગી.  છેવટે મનીષાબહેન છેલ્લાં સ્ટેજમાં આવી ગયા હતાં. ખાનગી ડોક્ટરે પણ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાની સલાહ આપી હતી. જેના માટે તપાસ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં આ માટે રૂ. ૪૦ થી ૫૦ લાખનો ખર્ચ થાય તેમ હતો. જોકે હિતેશભાઈ સગાઓ-મિત્રો પાસેથી ઉછીના પૈસા લઇને પણ પત્નીની સારવાર કરાવવા તૈયાર હતાં. 

મનીષાબહેનનું રૂટિન ચેકઅપ કરનારા ડોક્ટર, નજીકના મિત્રો અને સ્નેહીઓની સલાહના પગલે હિતેશભાઈ મનીષાબહેનને IKDRCમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે લઇ આવ્યાં. આ સાથે જાણે તેમના નસીબ આડેનું પાંદડું ખસ્યું. જે કુદરત અત્યાર સુધી તેમની પરીક્ષા લઇ રહી હતી તે જાણે હિતેશભાઈ અને મનીષાબહેન ઉપર પ્રસન્ન થઈ. 

IKDRCમાં મનીષાબહેનના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે હિતેશભાઈએ સતત ચાર વર્ષ સુધી ફોલો-અપ કર્યું. લિવરનું અંગદાન મળતા તાબડતોબ મનીષાબહેનના ઓપરેશનનો નિર્ણય લેવાયો. SOTTO ના કન્વીનર  ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમે મનીષાબહેનનું ઓપરેશન કર્યું, જે માટે આયુષ્માન કાર્ડ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહયોગ પણ પ્રાપ્ત થયો. 

મનીષાબહેનના પતિ શ્રી હિતેશભાઇ મોદીએ કહ્યું કે,મારી પત્નીનું જે લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન બહાર રૂ. ૪૦-૫૦ લાખના ખર્ચે થવાનું હતું તે ઓપરેશન IKDRCમાં વિનામૂલ્યે એટલે કે કોઇ પણ ખર્ચ વિના સફળતાપૂર્વક સંપન્ન થયું. ઓપરેશન પછીની મોંઘી દવાઓના ભાવિ ખર્ચ માટે પણ પીએમ JAY-આયુષ્માન ભારત કાર્ડ પણ અતિ ઉપયોગી બની રહ્યું છે. 

તેઓએ IKDRCમાં સારવાર અંગે ઉમેર્યુ કે, "લોકોમાં માન્યતા છે કે સરકારી હોસ્પિટલ એ ખાનગી હોસ્પિટલ કરતા ઊણી ઉતરે છે. હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફનો સહયોગ સારો હોતો નથી. વાસ્તવમાં આવું કશું જ નથી. આ સાવ ખોટી વાત છે. IKDRC ના ડિરેક્ટર ડો.વિનીત મિશ્રા સહિતના તબીબો અને સ્ટાફ તથા સરકારી યોજનાનો સ્ટાફ બધા ઘણાં સારા અને સપોર્ટિવ છે. લોકોએ IKDRC સિવિલ હોસ્પિટલ વિશેના તમામ ખોટા ખ્યાલ કાઢી નાખવા જોઇએ. અહીં સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે. મારી પત્નીના લિવર ટ્રાન્સપ્લાન્ટનું જે કામ ક્યાંય ન થયું, તે અહીં થયું છે." 

આ તબક્કે હિતેશભાઈ અને તેમના પરિવારે ગુજરાત અને કેન્દ્ર સરકારની PMJAY-આયુષ્માન ભારત, જે બ્રેઇનડેડ દર્દીના લિવરનું અંગદાન મળ્યું છે તે દર્દીના પરિવારજનો, IKDRCના ડોક્ટર્સ, સ્ટાફ સહિત સરકારી યોજના વિભાગના સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય કેવી રીતે મેળી ?

મનિષાબેનના પતિ શ્રી એ કિડની હોસ્પિટલમાંથી લિવર પ્રત્યારોપણ માટેનું એસ્ટીમેટ કઢાવીને અમદાવાદ પશ્ચિમના સાસંદ શ્રી કિરિટભાઇ સોલંકીને સંપર્ક કર્યો અને પોતાની વ્યથા વર્ણવી. સાસંદ શ્રી એ પોતાના ભલામણ પત્ર સાથેની મનિષાબેનની અરજી પ્રધાનમંત્રી રાહત ફંડ માટે પ્રધાનમંત્રી કાર્યાલાયમાં મોકલી આપી. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પ્રધાનમંત્રી નિધીમાંથી રાહત આપવાના તમામ માપદંડો મુજબ અરજી લાયક ઠરતા મદદ આપવામાં આવી. 

  - અમિતસિંહ ચૌહાણ -

(3:59 pm IST)