Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલા ગંગાજળથી ભરેલા 108 નિધી કળશ અને 500થી વધુ જ્‍વેરા સાથેની શોભાયાત્રા સાથે શ્રી ઉમિયા માતાજી મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ

મંદિર બનાવવાની પ્રત્‍યક્ષ રીતે શરૂઆત કરાઇ

અમદાવાદ: આજથી આસ્થાના કેન્દ્ર અને વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ એકઠા થયા છે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ પણ સામેલ થશે. મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં 108 નીધિ કળશ અને 500થી વધુ જવેરા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી છે. સાથે-સાથે 108 કળશ, કે જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, એ તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે તથા JCB સહિત અન્ય ઓજારો અને ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવશે.

(5:18 pm IST)