Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કોરોના કેસો વધતા યાત્રાધામ બહુચરાજી મંદિર ૭ દિવસ માટે બંધ રહેશે

- બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે : બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા :  રાજ્યમાં કોરોના નું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. જેને કારણે ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના મોટા ભાગના મંદિરો ધીરે ધીરે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. મહેસાણા ના યાત્રાધામ બહુચરાજી મંદિર ને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરને પણ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આ પહેલા મહેસાણા જિલ્લામાં આવેલુ યાત્રાધામ બહુચરાજી મંદિર 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છ દિવસ સુધી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા, હવે વધુ એક સપ્તાહ માટે બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(1:20 pm IST)