Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

૩૦ ટકા લોકો હજુ પણ માસ્ક દાઢી પર જ પહેરે છે

કોરોનાના કહેર વચ્ચે પણ બેદરકારીએ હદ વટાવી : રાજ્યમાં આગામી ૩૧ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કેસ ૫૦ હજારને પાર પહોચવાની સંભાવના વ્યક્ત કરાઈ

 અમદાવાદ, તા.૨૩ : ગાઈ વગાડીને કહેવામાં આવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક જ હથિયાર છે છતાં લોકો સમજતા નથી. બજારોમાં કે સામાજિક અને રાજકીય મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે જ છે પણ બેદરકારીની હદ તો ત્યારે જોવા મળે છે જ્યારે લોકો સરખું માસ્ક પણ પહેરતા નથી. હાલ કોરોનાના ડરમાં કેટલાક લોકો માસ્ક પહેરતા થયા છે પણ હજુએ ૩૦ ટકા લોકો એવા છે જેઓ માસ્ક મોઢે નહિ દાઢીએ પહેરે છે. જાણે માસ્ક બેજવાબદાર રીતે પહેરીને સામાજિક જવાબદારી નિભાવતા હોવાનો દેખાડો કરતા હોય.

તબીબો પણ માની રહ્યા છે કે, હજુ પણ લોકો નહિ જાગે તો કોરોના કેસ કન્ટ્રોલ બહાર જાય તો નવાઈ નહિ. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ ૨૦ હજારને પાર નોંધાઇ રહ્યા છે.  અને આગામી ૩૧ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કેસ ૫૦ હજારને પાર પહોચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના તબીબી એક્સપર્ટસ માની રહ્યા છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેનું પાલન કરવું જ પડશે.

શહેરમાં રેન્ડમલી એવું ધ્યાને આવ્યું છે કે, શહેરમાં હજુ પણ ૧૦૦ માંથી ૩૦ ટકા લોકો છે એવા છે જે માસ્ક મો પર  નહિ પણ દાઢી પર પહેરે છે જે યોગ્ય નથી. ૨૦ ટકા લોકો એવા છે જે માસ્ક પહેરે છે પણ પહેરવા ખાતર પહેરે છે. જ્યારે હાલ કેસ વધતા ૫૦ ટકા લોકોમાં ગંભીરતા જોવા મળી છે.

 આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં પણ લોકોમાં ગંભીર નથી. કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૃરી અને તે પણ સાયન્ટિફિક રીતે તેનો ઉપયોગ અને નાશ પણ થવો જોઈએ. જ્યારે કોઈપણ માસ્ક પહેરે તે પહેલાં હાથ સેનિટાઈઝ કરવા જરૃરી છે. એટલું જ નહીં માસ્ક પહેર્યા પછી વારંવાર તેને અડકવું જોઈએ નહીં. અને જ્યારે તેને મો પરથી ઉતારો ત્યારે તેને પ્રોપર રીતે પ્લાસ્ટિકની બેગમાં પેક કરી ફેંકવું જોઈએ.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે કે, શહેરમાં એ જોવા મળ્યું છે કે, માસ્કનો ઉપયોગ પ્રોપર રીતે થતો નથી. કોરોનાની બીજીલહેર બાદ તો લોકો એકદમ બિન્દાસ્ત થઈ ગયા હતા. જે યોગ્ય ન હતું. નિયમોનું લોકો પાલન નહિ કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

(9:26 pm IST)