Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદના ચાંદખેડા રેલવે સ્ટેશન નજીક એક્ટિવાની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મૃત્યુ

અમદાવાદ: ચાંદખેડા રેલ્વે સ્ટેશનના પાર્કિગના આર.સી.સી.રોડ પરથી ચાલતા પસાર થતા યુવકનું એક્ટિવાની ટક્કરથી મોત નિપજ્યું હતું. ત્રણ દીવસ અગાઉ બનેલા અકસ્માતના બનાવ અંગે એલ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું

 

વાસણા રાજેશ મોલ પાસે રહેતાં ઉમેશભાઈ ભોલાનાથ સીંગ (ઉં,૩૫)નાઓ રવિવારે રાત્રે ચાંદખેડા રેલ્વે સ્ટેશનથી નીચે ઉતરી સામે આવેલા વાહન પાર્કિગના રોડ પરથી તેના મિત્ર સાથે પસાર થતો હતો. તે સમયે પાર્કિંગમાંથી પુરઝડપે અને બેફામ રીતે આવેલા એક્ટિવા ચાલકે ઉમેશને ટક્કર મારતા તે આર.સી.સી. રોડ પર પટકાયો હતો. ઉમેશને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ઈર્મજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડાયો હતો. સોમવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઉમેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમેશના નાના ભાઈ અનુપસિંગ ભોલાનાથસિંગ રાજપૂત (ઉં,૩૨)એ ટ્રાફિક એલ ડીવીઝનમાં એક્ટિવા ચાલક વિરૂધ્ધ મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. 

(6:48 pm IST)