Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આણંદના નાર સ્થિત ગોકુલધામમાં ૧૦૮ ફૂટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન

વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયોઃરાજેન્દ્ર ત્રિવેદીએ માતરના બોગસ ખેડૂત પ્રકરણ સંદર્ભે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બોગસ ખેડૂતો શાનમાં સમજી જાય

આણંદ, તા.૨૨ ઃઆણંદના નાર ગામ સ્થિત આવેલા ગોકુલધામમાં રવિવારના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧૦૮ ફુટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદીએ માતરના બોગસ ખેડૂત પ્રકરણ સંદર્ભે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બોગસ ખેડૂતો શાનમાં સમજી જાય.

નારના ગોકુલધામ ખાતે બે લાખ વિદ્યાર્થીને નિઃશુલ્ક શૈક્ષણિક કિટનું વિતરણ કરવા ઉપરાંત ૧૦૮ ફૂટના રાષ્ટ્રધ્વજના પ્રતિષ્ઠાપન સમારંભનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્પીંગ હેન્ડ્સ ફોર હ્યુમિનિટી વર્જિનીયા (યુએસએ)ના સહયોગથી જિલ્લાની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના બે લાખ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગેમહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ હાજર રહ્યાં હતાં અને તેઓના હસ્તે સંતો અને અતિથિઓની હાજરીમાં ગોકુલધામ નારના મેઇન ગેટને અડીને ૧૦૮ ફૂટના લોખંડના સ્તંભ પર ૨૦ઠ૪૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરાયો હતો. આ પ્રસંગે મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોગસ ખેડૂતો સામે કાર્યવાહીનો અંદેશો આપ્યો હોય તેમ જણાવ્યું હતું કે, માતરમાં જમીન ખરીદનારા બોગસ ખેડૂતો શાનમાં સમજી જાય. તેમના આ ઉદ્દગારથી આગામી દિવસોમાં બોગસ ખેડૂતો સંદર્ભેની કડક કાર્યવાહીનો ઇશારો હતો. જોકે, તેઓએ હજુ ફોડ પાડ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં બોગસ ખેડૂતોની જમીન ખાલસા કે સરકાર કરવાની મોટાપાયે કાર્યવાહી ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેના પગલે પંથકમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ છે.આ ઉપરાંત જિલ્લાની ૧૦૯૦ પ્રાથમિક શાળામાં ૨ લાખ પેન્સિલ ૪ લાખ નોટ બુક ૨ લાખ બિસ્કિટ પેકેટ ૫૫ હજાર બોક્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ લેવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ મિતેષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત અગ્રણી રાજકીય તેમજ સામાજિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નારના ગોકુલધામ ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હુંકાર કરી બોગસ ખેડૂતોને ચેતવણી તો આપી છે. પરંતુ તેમની આ વાત કેટલી સાર્થક રહેશે ? તે પ્રશ્નાર્થ છે. કારણ કે કોઇ એક અધિકારીની નિશ્રામાં આ બોગસ ખેડૂત કૌભાંડ સર્જાય તેવી શક્યતા નથી. તેની પાછળ અનેક મોટા માથા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

(11:11 pm IST)