Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડોદરા નજીક શેરખી ગામે ખેતરમાં ઘુસી એક શખ્સે ત્રણ સંતાનના પિતાની કરપીણ હત્યા કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:નજીક શેરખી ગામની સીમના ખેતરમાં ઘૂસી આવેલા શખ્સને ખેતરમાંથી જતા રહેવાનું યુવાને કહેતા ઉશ્કેરાઇને ઝપાઝપી કરી લાત મારતા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે શેરખી નજીક આવેલી પોદ્દાર સ્કૂલની નજીક ભગવાનસિંહ ગોપાલસિંહ પરમારનું ખેતર શેરખી નાના ભાગમાં આશાપુરા મંદિર નજીક રહેતા નીતિન તખતસિંહ જાદવ(ઉ.વ.૪૦)એ ભાગે રાખ્યું હોવાથી છેલ્લા ચાર માસથી નીતિન તેની પત્ની ત્રણ સંતાનો અને પરિવારના અન્ય સભ્યો સાથે ખેતરમાં બનાવેલી ઓરડીમાં રહેતો હતો. ગઇકાલે રાત્રે નીતિન તેમજ પરિવારના સભ્યો ઓરડીની બહાર ખાટલામાં બેઠાં હતાં ત્યારે નજીકના ખેતરમાં રહેતો સુનીલ ઉર્ફે ભયો નાનજીભાઇ ચૌહાણ(રહે.પીરોદનગર, શેરખી) તેના ત્રણ મિત્રો સાથે બાઇક પર ખેતરમાં આવીને બેઠાં હતાં.

આ વખતે નીતિન તેઓની પાસે જઇને તમે આ ખેતરમાંથી બહાર નીકળો અમારા છોકરા ગભરાય છે તેમ કહેતા સુનીલ ઉશ્કેરાઇ ગયો  હતો અને નીતિન સાથે ઝપાઝપી કરી તારા બાપનું ખેતર છે, તે કેમ વાવવા રાખેલ છે, અમને ફાવે તેમ કરીશું તેમ કહી ફેંટ પકડીને જોરથી લાત નીતિનના ગુપ્ત ભાગે મારતા નીતિન જમીન પર ફસડાઇને બેભાન થઇ ગયો  હતો. બાદમાં સુનીલ તેની સાથેના મિત્રો સાથે ભાગી ગયો હતો. નીતિનને ગોત્રી હોસ્પિટલમાં લઇ જતા તેનું મોત નિપજ્યું  હોવાનું જાહેર કરાયું  હતું.

(7:17 pm IST)