Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે રાજ્યના ત્રણ નગરોને રૂ. પ.૬ર કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી

ખાનગી સોસાયટીઓ જનભાગીદારી યોજનામાં સી.સી.રોડ-પેવર બ્લોક-પીવાના પાણીની પાઇપ લાઇનના વિવિધ કામોથી ૪૩૯ પરિવારોને લાભ થશે

રાજકોટ તા.૨૩

રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરે છે.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. પ.૬ર કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

       મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમાંથી તેમણે કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના પ૧ કામો માટે રૂ. પ.૦૭ કરોડની મંજૂરી આપી છે.

     આ પ૧ કામોમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. કુલ પ૧ પરિવારોને આ કામોથી સુવિધા મળતી થશે.

       મોડાસા નગરપાલિકાને રૂ. ૩૦ લાખ ૩૭ હજાર ૪૭૪ રૂપિયાના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી અન્વયે પેવર બ્લોક નાંખવાના ૪ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. આ કામો મંજૂર થવાથી ર૭૯ પરિવારોને લાભ મળતો થશે.

      મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કુલ બે કામો માટે રૂ. ર૪,૬૩,૯૦૦ ની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

     આ રકમમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન અને ગટર લાઇનના કામો હાથ ધરાશે. કુલ ૧૦૯ પરિવારોને આના પરિણામે લાભ મળવાનો છે. 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ જનભાગીદારી યોજના હેઠળ રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા કુલ ખર્ચના ૭૦:ર૦:૧૦ મુજબની રકમ ભોગવે છે. 

તદઅનુસાર શહેરી વિકાસ વિભાગ મારફત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે રજુ કરેલી આ ત્રણેય નગરપાલિકાઓની દરખાસ્તોને મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

(1:45 pm IST)