Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રોપદી મુર્મૂ જ કેમ ? દ્રોપદી મુર્મૂને આગળ ધરી આદિવાસી સમુદાયને નિશાન બનાવવાનો ભાજપનો પ્‍લાન !

જો દેશનાં સર્વોચ્‍ચ પદ પર દ્રોપદી મુર્મૂ બેસે તો આદિવાસી મતદારો પર તેની અસર પડી શકે ! : રાષ્ટ્રપતિની ચુંટણીની આડમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીની તૈયારી !

ગાંધીનગરઃ એન.ડી.એ. દ્વારા રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મૂનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ ઘણા રાજકીય વિશ્‍લેષકોનુ માનવુ છે કે, આ ભાજપ સરકારનો માસ્‍ટર સ્‍ટોક છે. જો દેશનાં સર્વોચ્‍ચ પદ પર આદિવાસી સમાજના દ્રોપદી મુર્મૂ બેસે તો તેની સીધી અસર આદિવાસી મતદારો પર થશે. જેનો સીધો ફાયદો ભાજપ સરકારને આવનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં થશે.

એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યાં છે. આખા દેશે પક્ષના ઉમેદવારને સમર્થન આપ્યુ છે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ હતા અને ઓરિસ્સાથી આવતા આદિવાસી નેતા છે. જો તેઓ ચૂંટણી જીતી જાય છે તો તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. આમ તો બીજેપીમાં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે અનેક નામો પર ચર્ચા થઈ હતી, પરંતુ આખરે દ્રૌપદી મુર્મૂના નામ પર જ કેમ મહોર મારવામા આવી તે બહુ ઓછા લોકો જાણે છે. રાજકીય તજજ્ઞો તેને મોદીનો માસ્ટરસ્ટ્રોક ગણાવે છે. કહેવાય છે કે, અનેક રાજ્યોમાં રહેતા આદિવાસી સમુદાય પર પકડ મજબૂત બનાવવા માટે દ્રૌપદી મુર્મૂનો સહારો લેવામાં આવશે. જોકે તેનો સૌથી પહેલો ફાયદો ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પહેલા થશે.

હકીકતમાં, ગુજરાતમાં આદિવાસી મતદાતા અનેક બેઠકો પર નિર્ણાયક ભૂમિકામા છે. જો આદિવાસીઓમાં નારાજગી વ્યાપે તો સત્તા પણ પલટી શકે છે. જો આ મતદાર વર્ગ પોતાનુ વલણ બદલે તો પાર્ટીને મોટો ફટકો પડી શકે તેમ છે. ગુજરાતમાં રહેતા આદિવાસીઓની તાકાત જીત પર અસર કરી શકે છે. તે જાણીને જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ આદિવાસીઓને મનાવવા જોર લગાવી રહી છે. આવામાં જો દ્રૌપદી મુર્મૂ દેશના સર્વોચ્ચ પદ પર હોય તો આદિવાસીઓ મતદારો પર તેની અસર પડી શકે છે.

પાર્ટીના રણનીતિકારોનું માનવુ છે કે, ઓરિસ્સા, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ બનવાથી ફાયદો થઈ શકે છે. 2017 માં ગુજરાતમા ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી, પરંતુ તેમાં પણ કોંગ્રેસ વધુ બેઠક મેળવવામાં સફળ બની હતી.

આંકડા પર નજર કરીએ તો, ગુજરાતની કુલ વસ્તીમાં આદિવાસીઓની અંદાજે 14.8 ટકા વસ્તી છે, અને 27 સીટ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. ભાજપ 2017 માં લગભગ તેમાંથી અડધી સીટ પર જીત મેળવી શકી ન હતી. તેથી માનવામાં આવે છે કે, દ્રૌપદી મુર્મૂ થકી ભાજપ ગુજરાતના આદિવાસીઓને ટાર્ગેટ કરી શકે છે. દ્રૌપદી મુર્મૂના સહારે ભાજપ વધુ સીટ જીતવાનું લક્ષ્યાંક બનાવી શકે છે.

આદિવાસીઓ હાલ કોંગ્રેસનું પહેલુ ટાર્ગેટ

ગુજરાતના રાજકારણ પર નજર કરીએ તો કોંગ્રેસની આદિવાસી વોટર્સ પર પકડ મજબૂત છે. ગત બે દાયકાથી બીજેપી આદિવાસીઓને મનાવવા પ્રયાસ કરી રહી છે. 2017 માં બીજેપીએ તેના માટે પૂરતુ જોર લગાવ્યુ હતું. આ જ કારણ છે કે, આમ આદમી પાર્ટી પણ આદિવાસી મતદારો પર ફોકસ કરી રહી છે. ગુજરાતમાં આદિવાસી વૉટબેંક પર પ્રભૂત્વ જાળવી રાખવા કોંગ્રેસે પણ 2022 માટે નવી રણનીતિ બનાવી છે. જે મુજબ તે આ બેઠકો પર શક્તિપ્રદર્શન કરશે. હિંદુત્વની પોલિટિક્સ મજબૂત બનતા કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવશે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા સોફ્ટ હિંદુત્વનો સહારો લેવામાં આવશે. વધુમાં વધુ લોકોને આકર્ષવા માટે કોંગ્રેસ સૉફ્ટ હિંદુત્વ અપનાવશે. જે માટે શહેરી વિસ્તારમાં કથાઓ તથા આરતીઓનું આયોજન કરશે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામુહિક આયોજન કરશે.

(5:04 pm IST)