Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમદાવાદમાં અષાઢી બીજની જગન્‍નાથની રથયાત્રાને પગલે પોલીસનું મંદિર અને રૂટ પર ડ્રોન-ડોગ સ્‍કવોડની બાજ નજર રહેશેઃ પૂર્વ તૈયારીનો ધમધમાટ

લોખંડી સુરક્ષા સાથે પ્રથમ વખત રથયાત્રામાં ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાન જગન્‍નાથજીની 145મી રથયાત્રાને પગલે પોલીસે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી સુરક્ષામાં કોઇ કચાશ ન રહે તે માટે મંદિર પરિસર અને રૂટ પર ચેકીંગ હાથ ધરાયુ છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્‍તારોમાં લોખંડી સુરક્ષા સઘન બનાવાઇ છે. પોલીસ તથા ક્રાઇમ બ્રાંચના અધિકારી દ્વારા 3 બીડીડીએસ ડોગ સ્‍કવોડ તથા ટીજર ગનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે.સુરક્ષામાં કોઈ કચાસના રહે તે માટે રથયાત્રાના રૂટ પર તેમજ મંદિર પરિસરમા ચેકીંગ હાથ ધરાયુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ દ્વારા, 3 BDDS ,2 ડોગ સ્કોડની ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું. સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા પોઇન્ટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસ પણ આ રથયાત્રામાં સુરક્ષા અંગે કોઈ ખામી ના રહી જાય તે માટે મંદિર પરિસર અને ત્રણેય રથમાં દિવસમાં બે દિવસ ચેકીંગ કરી રહી છે. જેથી કરીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ મા યોજાઈ શકે.

145મી રથયાત્રામાં લોખંડી બંદોબસ્ત

ભગવાન જગ્નાનાથજીની 145મી રથયાત્રા આ વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે. કારણકે 20 જેટલી ટીઝર ગન વડે ક્રાઈમ બ્રાન્ચના એક ખાસ સ્કોવડ રથયાત્રામાં તૈનાત રહેવાની છે. સૌ પ્રથમ વખત રથયાત્રામાં ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આ ગન વડે રથયાત્રામાં હાજર રહેશે સામાન્ય રીતે આ ટીઝર ગનનો ઉપયોગ કોઈપણ આરોપીને દુરથી જબેહોશ કરવા માટે ઉપયોગમાં કરાતો હોય છે. આ ટીઝર ગન વડે ફાયર કરવાથી એક વાયર નીકળતો હોય છે અને આ વાયરમાં રહેલો ઇલેક્ટ્રિક કરંટ સામે વ્યક્તિને લાગતો હોય છે. કરંટ લાગતાની સાથે જ સામે વાળી વ્યક્તિ પાંચથી દસ મિનિટ માટે બેભાન થઇ જતી હોય છે. જેથી કોઈપણ વ્યક્તિને ધરપકડ કરવી કે ન્યુટ્રલાઈઝ કરવો સરળ બનતો હોય છે.

રથયાત્રા એટલે ગુજરાત પોલીસનો સૌથી મોટી બંદોબસ્ત માનવામાં આવે છે. આ રથયાત્રામાં કોઈપણ પ્રકારની ભૂલ ચૂક સાંખી લેવામાં આવતી હોતી નથી. થોડા દિવસો અગાઉ અલકાયદા દ્વારા એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં આત્મઘાતી હુમલો કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે પણ સમગ્ર દેશ એલર્ટ પર છે, અને તેમાંય ગુજરાત પોલીસ સૌથી વધુ એલર્ટમોડ પર જોવા મળી રહી છે. બીજી તરફ રથયાત્રા આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થતી હોય છે. જેથી કરીને સુરક્ષા અને બંદોબસ્તમાં કોઈ ચૂક રહીના જાય તેના માટે થઈને સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. માટે જ આ વખતની રથયાત્રામાં દરેક પાંચથી દસ વ્હીકલ છોડીને કેમેરા લગાડવામાં આવશે. જેનું સીધું મોનીટરીંગ બે થી ત્રણ જગ્યા પર રાખવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર કચેરી, ક્રાઈમ બ્રાંચ, અને તંબુ ચોકી ખાતે આ કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રામાં સામેલ અખાડા અને અન્ય જે લોકો સામેલ થવાના છે તે તમમાં લોકો સાથે મીટિંગ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમેરા પણ ફીટ કરવામાં આવશે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. તદ ઉપરાંત રથયાત્રાના મુવમેન્ટ આખી ખબર પડે તેના માટે  GPS ટ્રેકર રથમાં લગાડવામાં આવશે. જેથી કરીને રથનો પરફેક્ટ રૂટ ખ્યાલ આવી શકે છે. એટલે એકદંરે જોવા જઈએ તો આ વખતની 145મી રથયાત્રા ટેકનોલોજી યુક્ત રથયાત્રા યોજાવવાની છે અને પોલીસ વિભાગે સુરક્ષાના તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દીધેલી જોવા મળી રહી છે.

(5:04 pm IST)