Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જાસૂસીકાંડથી ભાજપે માણસના જીવવાના અધિકારો છીનવ્યા

અમિત ચાવડા-પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા. ૨૩ :. જાસૂસીકાંડથી ભાજપ સરકારે માણસના જીવવાના અધિકારો છીનવ્યા છે તેવો આક્રોશ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વ્યકત કર્યો છે. પરેશભાઈ ધાનાણી અને અમિતભાઈ ચાવડાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય નેતાઓ, વર્તમાન અને પૂર્વ ભારતીય સુરક્ષા દળના અધિકારીઓ, વિપક્ષના વરિષ્ઠ નેતાઓ, પત્રકારો, વકીલોના સેલ ફોન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હેકીંગ કરવાથી ભાજપ સરકારની શંકાસ્પદ અને દ્વેષપૂર્ણ પ્રવૃતિઓ ખુલ્લી પડી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી તથા તેમના ઓફિસના કર્મચારીઓના પણ ફોન હેકીંગ કરવામાં આવ્યા હતા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ફોન હેકીંગ કરવામાં આવ્યા હતા.

સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતેની પત્રકાર પરિષદ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વરિષ્ઠ આગેવાનશ્રીઓ અને કાર્યકરો રાજભવન સામે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા હતા તેમ પ્રવકતા ડો. મનિષ એમ. દોશીએ જણાવ્યુ હતું.

(11:37 am IST)