Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમદાવાદમાં બીઆરટીએસના રૂટ સુધી મુસાફરોને પહોંચાડવા અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ઇ-રીક્ષાનો પ્રારંભઃ રૂા.10ની ટિકીટ લઇને શ્‍યામલ આનંદનગર, પ્રહલાદનગર થઇને સરખેજ હાઇ-વે સુધી મુસાફરી કરી શકાશે

અમદાવાદ: બીઆરટીએસના મુસાફરોને બીઆરટીએસ સ્ટેશનથી તેમના નજીકના ગંતવ્ય સ્થાને જવા માટે ઘણી વાર તકલીફ પડતી હોય છે. બીઆરટીએસ નિર્ધારીત માર્ગો પરથી જ પસાર થાય છે, આથી અન્ય મહત્વના રસ્તાઓ પર રહેલી ઓફીસ કે મકાન સુધી પહોચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે. મુસાફરોની આ તકલીફને ધ્યાને લઇ અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રહલાદનગર સરખેજ હાઇવે સુધી આ  સેવા શરૂ કરવામાં આવી છે.
જેમાં શિવરંજનીથી કોઇ પણ મુસાફર માત્ર 10 રૂપિયાની ટીકીટ લઇ શ્યામલ આનંદનગર પ્રહલાદનગર થઇ સરખેજ હાઇવે સુધી મુસાફરી કરી શકશે. આ નવી સેવાને સવાર ઇ નામ આપવામાં આવ્યુ છે. ઇ રીક્ષાના ડ્રાઇવર પાસે એક બુકલેટ છે. જેમાઁથી દરેક મુસાફરને 10 રૂપિયાની જીએસટી સહિતની ટીકીટ આપવામાં આવશે. જો ડ્રાઇવરે ટીકીટ નહી આપી હોવાનુ માલુમ પડશે તો જે તે પેસેન્જરની ટ્રીપ ફ્રી રહેશે. આ અંગે અમદાવાદ જનમાર્ગ લીમીટેડના જનરલ મેનેજર વિશાલ ખનામાએ કહ્યુ કે, એક ખાનગી કંપની સાથે મળી પીપીપી ધોરણે છ રીક્ષા શરૂ કરવામાં આવી છે.
હાલના તબક્કે મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ એક પાઇલોટ પ્રોજેક્ટ છે જેવો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે તે ચાલુ રહ્યો તો આવનારા સમયમાં જ્યાં બીઆરટીએસના મુસાફરોની સંખ્યા વધારે છે ત્યાં પણ આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. ભુતકાળમાં શરૂ કરાયેલા ઇ રીક્ષા પ્રોજેક્ટનું બાળમરણ થયુ હતું તે અંગે તેમણે કહ્યુ કે ભુતકાળના પ્રોજેક્ટમાં જે ભુલો હતી તે સુધારીને આ નવો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. તમામ રીક્ષાઓ જીપીએસથી સજ્જ છે, તથા તેની પર એક ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે. જેના પર મુસાફર પોતાની કોઇ ફરિયાદ હોય તો તે કરી શકે છે.

 

(5:23 pm IST)