Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સાબરમતી નદીમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

આંબેડકર બ્રિજ પાસેના રિવરફ્રન્ટ નજીકની ઘટના : પાણીમાં ડુબવાને કારણે તેનું શરીર ફુલી ગયુ હતું, બાળકીના માથા પર કોઈએ કાળુ ટીકું પણ કરેલુ હતું

અમદાવાદ,તા.૨૩ : આંબેડકર બ્રિજ પાસેના રિવરફ્રંટ પર બેઠેલા લોકોએ જ્યારે જોયું કે નદીમાં કંઈક તરી રહ્યું છે, તો પહેલા તેમને લાગ્યું કે કોઈ બાળકે ગુડિયા પાણીમાં ફેંકી દીધી હશે અને તે તરી રહી છે. પરંતુ લોકો શંકાને સ્થાન આપવા નહોતા માંગતા માટે તેમણે પોલીસને જાણ કરી અને રિવરફ્રંટ પર તૈનાત તરવૈયાઓએ અંદર ડુબકી મારી. તરવૈયાઓ જે લઈને આવ્યા તે જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ. નદીમાં કોઈ ગુડિયા નહીં પરંતુ એક નવજાત બાળકીનો મૃતદેહ તરી રહ્યો હતો. બાળકીને જોઈને ત્યાં હાજર ઘણાં લોકો ભાવુક થઈ ગયા. બાળકીએ અત્યંત સુંદર ફ્રોક પહેર્યુ હતું જેમાં વાદળી અને ગુલાબી રંગના ફૂલ પ્રિન્ટ કરેલા હતા.

જો કે પાણીમાં ડુબવાને કારણે તેનું શરીર ફુલી ગયુ હતું. બાળકીના માથા પર કોઈએ કાળુ ટીકું પણ કરેલુ હતું. ઉલ્લેખનીય છે કે ખોટી નજરથી બચવા માટે બાળકોને આ પ્રકારે માથા પર કાળુ ટીકું લગાવવામાં આવે છે. બાળકીને જોઈને લોકોએ પોલીસ અને ૧૦૮ને ફોન કર્યો હતો, પરંતુ બાળકીને ડોક્ટરોએ મૃત જાહેર કરી. કદાચ પહેલી વાર એવુ બન્યું છે કે સાબરમતી નદીમાંથી આટલી નાની ઉંમરની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોય. સાબરમતી રિવરફ્રંટના પોલીસે કેસની તપાસ શરુ કરી છે. પોલીસનું અનુમાન છે કે બાળકીની ઉંમર એક મહિના જેટલી હશે. પોલીસને લાગે છે કે તેને નદીમાં ફેંકી દેવામાં આવી છે. ગુરુવારે બપોરે મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ પોલીસનું અનુમાન છે કે તેને એક-બે દિવસ પહેલા નદીમાં નાંખવામાં આવી હશે. પોલીસે પાછલા ૩-૪ દિવસના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની શરુઆત કરી છે. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર બાળકીના શરીર પરથી કોઈ ઈજાના નિશાન નથી મળી આવ્યા.

(7:53 pm IST)