Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રનિર્માણના કાર્યો અને વિચારના કેન્દ્રમાં ‘નેશન ફર્સ્ટ’ રહેલું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો “સાર્થકતાનું પંચામૃત” કાર્યક્રમ યોજાયો: પ્રેરણા પુરુષ ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનથી પ્રેરણા લઈ નાગરિકોને શિક્ષિત અને સંગઠિત બનવા મુખ્યમંત્રીની અપીલ:જ્ઞાતિવિહીન એટલે કે એકાત્મ અને સમરસ સમાજરચનાના ડૉ. બાબા સાહેબના વિચારોને અનુસરવાની પ્રેરણા આપતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

અમદાવાદ : મુખ્યમંત્રીના હસ્તે પંચામૃતમાં  કિશોર મકવાણા લિખિત રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તકનું વિમોચન,BAOU દ્વારા સંચાલિત રાજ્યના દરેક પ્રાદેશિક,કેન્દ્ર પર અદ્યતન કોમ્યુટર સેન્ટરનું લોકાર્પણ,સાઇન લેંગ્વેજ વેબલિંકનું ઉદ્ધાટન,ગાર્ગી રીસર્ચ પ્રપોઝલ અન્વયે અનુદાન પ્રદાન,રાજ્યવ્યાપી પ્રતિભાશોધ સ્પર્ધા તેજતૃષાના તેજસ્વી તારલાઓનું અભિવાદન-ઇનામ વિતરણ કરાયું હતું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર ના વિચારો નો સંદર્ભ આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,ડૉ‌ બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્રની હંમેશા ચિંતા કરીને એક નવું જ ચિંતન રજૂ કર્યું હતું. તેમણે રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ વ્યવહારનો અનુભવ કરી તેને અનુસરવા પ્રેરણા આપી છે.
ડૉ. આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડનાર એક સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા પરંતુ તેઓ એક મહાન રાષ્ટ્રનિર્માતા છે. રાષ્ટ્ર નિર્માણના દરેક કાર્ય અને વિચારમાં ‘નેશન ફર્સ્ટ’ રહ્યું છે.
સમાજમાં વ્યાપ્ત અસમાનતાઓ અને વિષમતાઓ સામે ડૉ. આંબેડકરનું જીવન-લક્ષ્ય સામાજિક ક્રાંતિ બની જતાં તેઓ વ્યક્તિ મટી સમષ્ટિ બની ગયા તેમ  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેર સ્થિત રાજ્યની એક માત્ર ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
  મુખ્યમંત્રીએ દ્રઢતા પૂર્ણ કહ્યુ કે , ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેરણા આપનારું છે. ડૉ. બાબાસાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે.
મૂલ્યવાન વિચારોને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સાથે જોડીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ‘સાર્થકતાના પંચામૃત’નો જે આયામ ઉપાડયો છે તેમણે મુખ્ય મંત્રીએ બિરદાવ્યા હતા.
તેઓએ આંબેડકર યુનિવર્સિટીની શિક્ષણપ્રણાલીના ડિજિટલીકરણની નવતર પહેલને બિરદાવતા કહ્યું કે,આંબેડકર ઓપન યુનિવર્સિટી ઘરેબેઠાં ગંગાની અને છેક છેવાડાના વિસ્તારોને પણ જ્ઞાન સાગરમાં ડૂબકી મારવાની તક દૂરવર્તી શિક્ષણથી પાર પાડે છે.
વયના બાધ વગર ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓને આગળ વધવાની સુવર્ણ તક મળે છે તો ભણતરથી વંચિત રહી ગયેલા લોકોને શિક્ષણ મેળવવા માટેનું પ્રોત્સાહન મળે  તે માટેના  આ પ્રયાસ શિક્ષણના સ્તરને વધારવા અને ગુણવત્તાયુકત બનાવવામાં ચોક્કસ ફાળો આપશે તેવો  વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષમય રહ્યું હતું તેમની વિદ્વતા ના કારણે આજે સમગ્ર રાષ્ટ્ર તેમને ઓળખે છે.આ પ્રખર કોઠાસૂઝ અને વિદ્વતાના કારણે જ બંધારણની રચનામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
તેઓએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન અને વ્યક્તિત્વને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવી નાગરિકોને તેમાંથી પ્રેરણા લઇ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર માં સહભાગી બનવાની શિખ આપી હતી.
સી.આર.પાટીલે જ્ઞાતિવિહીન એટલે કે સમગ્ર સમાજ એકાત્મ અને સમરસ સમાજરચનાના ડૉ. બાબા સાહેબના વિચારોને અનુસરવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે તેઓએ બંધારણના ૬૦ વર્ષ પૂર્ણ થતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી હાથીની અંબાડી પરથી બંધારણ યાત્રા કાઢી હોવાના પ્રસંગ ને વાગોળયો હતો.
સાર્થકતાના પંચામૃત કાર્યક્રમમાં સામાજિક અગ્રણી કિશોર મકવાણા દ્વારા સરદાર પટેલના જીવન પર લિખિત રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પંચામૃત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે BAOU દ્વારા સંચાલિત રાજ્યના દરેક પ્રાદેશિક કેન્દ્ર પર અદ્યતન કોમ્યુટર સેન્ટરનું ઇ-લોકાર્પણ,સાઇન લેંગ્વેજ વેબલિંકનું ઇ-ઉદ્ધાટન,ગાર્ગી રીસર્ચ પ્રપોઝલ અન્વયે અનુદાન પ્રદાન,રાજ્યવ્યાપી પ્રતિભાશોધ સ્પર્ધા તેજતૃષાના તેજસ્વી તારલાઓનું અભિવાદન-ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
સાર્થકતાના પંચામૃત પાવન અવસરે ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ) અમી ઉપાધ્યાય, સામાજીક અગ્રણી દિલીપભાઇ દેશમુખ, કિશોરભાઇ મકવાણા, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી સર્વે  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:02 pm IST)