Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વડોદરાના દુષ્‍કર્મ કેસમાં યુવતિનું બ્રેનવોશ થયાની આશંકાઃ સંસ્‍થા ઉપર પોલીસે સકંજો કસ્‍યોઃ 4 ઓફિસ ઉપર સર્ચ ઓપરેશન

રેલ્‍વે પોલીસ દ્વારા સંસ્‍થાના જુના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના

નવસારી: વડોદરા દુષ્કર્મ કેસમાં દિવસેને દિવસે ઘટસ્ફોટ થતા રહે છે. ત્યારે આ કેસ સાથે સંકળાયેલી એક મહત્વની યુવતીના પિતાએ પોતાની આપવીતી જણાવી છે. સામાન્ય માણસનું હૈયું હચમચાવી દેનાર એક દીકરીના પિતા અને તેના પરિવારના આંખના આંસુ સૂકાઈ રહ્યા નથી. પિતાએ પોતાની દીકરીને ઘરે પરત લાવવા માટે માટે કાર્યવાહી શરૂ કરી દીધું છે. પિતાએ જણાવ્યું હતું કે દીકરી ઘરે આવવા માટે માનતી નથી, પરિવારની આંખની આંસુ સાથે આજીજી કરી રહ્યા છે. પરિવારને આ કેસમાં સંડોવાયેલા યુવતીનું બ્રેનવોશ થયાની આશંકા સેવવામાં આવી છે. એટલું જ નહીં, નવસારી જિલ્લામાંથી oasis સંસ્થામાં આશરે ૨૦થી ૨૫ છોકરાને છોકરીઓ ગયા હોવાની વાત સામે આવી છે. ત્યારે નવસારીના પરિવારો પોતાના બાળકોને હેમખેમ ઘરે પરત ફરે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે વડોદરા દુષ્કર્મ કેસમાં અન્ય પરિવારજનોએ પોતાના બાળકોને  હેમખેમ ઘરે પરત લાવવા પ્રયાસો શરૂ કરતા  oasis સંસ્થા પર પોલીસે સકંજો કસ્યો છે. રેલવે પોલીસે ઓએસીસ સંસ્થાના જૂના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે. સંસ્થામાંથી કોર્સ કરીને ગયેલા યુવકોની તપાસ પણ શરૂ કરાઈ છે. ઓએસીસ સંસ્થાની શહેરમાં આવેલી 4 ઑફિસ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હોવાના સમાચાર છે.

આ ઘટનામાં પિતાએ દુખી સ્વરે જણાવ્યું હતું કે, મારી દીકરી આ સંસ્થામાં ત્રણ વર્ષથી છે. છ મહિના પહેલાં પાછી આવી જાય તેવા તમામ પ્રયાસો કર્યા હતા, પણ જાણે કેમ સંસ્થાને કારણે અમારી દીકરી આવી શકતી નથી. ખબર નહીં કે તેને શું થઇ ગયું છે, અહીં આવી જાય તો સારું, પણ તે અમારી સાથે રહેવાની ના પાડે છે. આ સંસ્થામાં બાળકોને કેવું શીખવે છે એ ખબર નથી પડતી. અમે તેણે નાનપણથી શીખવાડ્યું હતું કે, માતા-પિતા કહે એમ કરવું, પરંતુ અત્યારે તો અમારી દીકરી બિલકુલ ના પાડે છે. તે કહે કે હું અહી તો નહીં જ આવું. અમે અમારી દીકરીને સમજાવી, પણ ઘરે આવવા તૈયાર નથી. તે કહે છે કે કંઇ કામકાજ હશે તો આવીશ, પણ તમારી સાથે તો રહીશ નહીં. હું એકલો છું, મારી સાથે એવા ઘણા મા પિતા છે, જે પોતાના પુત્ર-પુત્રીઓને પાછા ઘરે બોલાવવા માંગે છે, પણ કોઇપણ દીકરી આવવા તૈયાર નથી. વડોદરા દુષ્કર્મની ઘટના પછી અમે તેનો સંપર્ક કર્યો નથી, પણ અમને જાણવા મળી રહ્યું છે કે જ્યાં સુધી આ મામલો શાંત નહીં થાય ત્યાં સુધી આવી નહીં શકે.

પીડિતા યુવતીની ડાયરીમાંથી એક નહિ અનેક પાના ફાડવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ

વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં આજે વધુ એક ઘટસ્ફોટ થતાં જાણવા મળ્યું છે કે ર્પીડિતા યુવતીની ડાયરીમાંથી એક નહિ અનેક પાના ફાડવામાં આવ્યા છે. આપવીતીના બે પેજ પણ ગાયબ કરી દેવાયા છે. યુવતીની ડાયરીના પાના કોણે ફાડ્યા અને કોના કહેવાથી તે આજદિન સુધી પોલીસ નથી શોધી શકી નથી. યુવતીએ છેલ્લે કરેલો એક મેસેજ સામે આવ્યો હતો. આ મેસેજને જોતા યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીએ રાત્રે 11.30 વાગ્યે મેસેજ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મારું કિડનેપ થયું છે, મને મારી નાંખશે, પ્લીઝ બચાવી લો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 3 નવેમ્બરની રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વખતે યુવતીનુ જે દિવસે મોત થયુ હતુ એ રાતે યુવતી ગુજરાત ક્વીન ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારીથી કેટલાક લોકો તેનો પીછો કરતા હતા. પીછો કરનારા લોકોએ યુવતીનું અપહરણ કર્યુ હતું. જેમનાથી પીછો છોડાવીને યુવતી ટ્રેનના વોશરૂમમાં ભાગી ગઈ હતી. જ્યાંથી તેણે સંજીવભાઈ નામના શખ્સને મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ 3 નવેમ્બરના રાત્રે 11.31 વાગ્યે મોકલાયો હતો. ત્યારે સમગ્ર કેસમાં સંજીવભાઈ કોણ છે તે તપાસનો વિષય છે.

યુવતીએ શુ મેસેજ કર્યો હતો

યુવતીએ ટ્રેનમાં  બેસીને સંજીવભાઈ પાસેથી મદદ માંગી હતી. તેણે અંગ્રેજીમાં મેસેજમાં લખ્ય હતુ કે, “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”

કોણ છે સંજીવભાઈ

સમગ્ર ખુલાસામાં સંજીવભાઈનુ નામ સામે આવ્યુ છે. આ ઉપરાંત આ યુવતી મહારાષ્ટ્ર કેમ જઈ રહી હતી તે પણ ચર્ચાનો વિષય છે. તેમજ કોણ છે આ સંજીવભાઈ જેમની પાસેથી તેણે મદદની અપીલ કરી હતી. સાથે જ યુવતીએ આ શખ્સને મેસેજમાં સોરી પણ કહ્યું છે. મેસેજ કર્યા બાદ જ યુવતીની હત્યા કરવામા આવી હોઈ શકે છે. યુવતી ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19034 માં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારી છોડ્યા બાદ જ તેની સાથે દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

યુવતીની ડાયરીનું છેલ્લુ પાનુ મળ્યું

વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો કેસમાં યુવતીની ડાયરી જ મોટો પુરાવો છે. પરંતુ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થાએ યુવતીની ડાયરીના કેટલાક પાના ફાડી નાંખ્યા હતા. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારે એ જ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. ઓએસિસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને આ પાનાની ઝેરોક્ષ આપી હતી. સંસ્થાનું એ-ગ્રૂપ યુવતી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું, જેથી બી ગ્રુપના સભ્યએ ડાયરીના ફોટા પાડ્યા હતા. યુવતીની બહેનપણીએ આ ઘટનાની જાણ સંસ્થાના મેન્ટર અવધિને કરી હતી, અવધિએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા. જેથી બહેનપણીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા, જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું.

(4:52 pm IST)