Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નવા સિમાંકન થતા બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપે શંકર ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતાર્યાઃ થરાદમાં ચૌધરી પટેલ સમાજનું પ્રભુત્‍વ

એક જ ટર્મમાં થરાદના લોકોને બે ધારાસભ્‍યો મળ્‍યાઃ એક કોંગ્રેસના અને એક ભાજપના

બનાસકાંઠાઃ બનાસકાંઠાની મહત્‍વની ગણાતી થરાદ બેઠક ઉપર ભાજપે દિગ્‍ગજ નેતા  અને સહકારી આગેવાન શંકર ચૌધરીને ઉતાર્યા છે.

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર આ વર્ષે ચૂંટણી રસપ્રદ બનવાની છે. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ઉભા રાખવા માટે મજબૂત ઉમેદવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શોધી રહ્યા છે. થરાદ બેઠક વર્ષ 2088-09માં થયેલા નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી બે વાર ભાજપ તો એક વાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીત્યું છે. થરાદમાં બીજા તબક્કામાં એટલે કે પાંચમી ડિસેમ્બરે મતદાન થવાનું ચે.

શું છે થરાદના સમીકરણો?

થરાદ વિધાનસભા મતવિસ્તારમાં 2 લાખ 8 હજાર 418 મતદારો છે. જેમાંથી એક લાખ 10  હજાર 622 પુરુષ મતદારો છે. 97 હજાર 795 મહિલા મતદારો છે. જ્યારે એક અન્ય મતદાર છે. થરાદમાં ચૌધરી પટેલ સમાજનું પ્રભુત્વ છે. જેમાં 16 ટકા જેટલા દેસી ચૌધરી પટેલ મતદારો છે. 10 ટકા મારવાડી ચૌધરી પટેલ છે. 14 ટકા ઠાકોર મતદારો છે. જ્યારે 15 ટકા દલિત મતદારો છે. જ્યારે બાકી અન્ય મતદારો છે. થરાદમાં કોઈ પણ પક્ષની હાર કે જીત નક્કી કરવામાં ચૌધરી પટેલોના મત મહત્વની ભૂમિકા ભજવે છે.

શું છે થરાદ બેઠકનો ઈતિહાસ?

થરાદ બેઠક વર્ષ 2088-09માં થયેલા નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાં  બે વાર સામાન્ય ચૂંટણી તો એક વાર પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. વર્ષ 2012 અને વર્ષ 2017માં અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. એટલે કે અહીં બે વાર ભાજપ અને એકવાર કોંગ્રેસ જીત્યું છે.

 2022માં શું થશે?

થરાદના નાગરિકોને એક ટર્મમાં બે ધારાસભ્યો મળ્યા. એક ભાજપના અને એક કોંગ્રેસના. થરાદની જનતાએ બંનેએ કરેલા કામે જોયા છે. અને આ વખતે તો ભાજપે થરાદ બેઠક પરથી સહકારી નેતા શંકર ચૌધરીને ઉતાર્યા છે. જેથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે.

ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.

(6:28 pm IST)