Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

અમદાવાદ જિલ્‍લાના ચાંગોદર વિસ્‍તારમાં માતાજીની મૂર્તિ ફેરવવાને લઇને અંધશ્રધ્‍ધાથી ગોળીબાર થયો

પોલીસે હત્યાના પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે: વહેલી સવારે પારિવારિક તકરારમાં આ બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદ :  અમદાવાદના ચાંગોદર પાસે આવેલા મટોડા ગામમાં વહેલી સવારે ફાયરિંગનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નંબર પ્લેટ વિનાની બે ખાનગી ગાડીમાં આવેલા 8 આરોપીએ ફરિયાદી રણજીત ચુનારા, તેના પિતા કનુભાઈ ચુનારા અને માતા કોકિલાબેન પર હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેશી જામગ્રી (હથિયાર) વપરાયુ હતુ. જેના છરા ફરિયાદી અને તેના પિતાને વાગ્યા હતા. સાથે જ કોકિલાબેનને લાકડાના ફટકા માર્યા હોવાનુ સામે આવ્યુ છે. આરોપી અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે ફરિયાદીના સાળા પપ્પુ ચુનારા અને કાકા સસરા રોહિત ચુનારા સહીત અન્ય 6 આરોપી હોવાનુ સામે આવ્યુ છે.

ફાયરિંગમાં ઈજા પામેલા તમામને બાવળા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જોકે હુમલો કેમ થયો તે અંગેની તપાસમાં ફરિયાદીનુ કહેવુ છે કે, રણજીતે તેની પત્નિને ઘરેથી તગેડી મુકી હોવાથી સાસરી પક્ષે તેને ધમકી આપી હતી. જે અંગે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોલીસ તપાસમાં માતાજીની મુર્તી લઈ જવા અંગે અંધશ્રદ્ધા રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

ફાયરિંગ અને હત્યાના ગુનામાં ચાંગોદર પોલીસે 8 આરોપીની શોધખોળ હાથ ધરી છે. એક આરોપીને નજરકેદ પણ કર્યો છે. જોકે ફાયરિંગ નુ યોગ્ય કારણ સામે ન આવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હુમલાના કારણ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ મહ્ત્વનુ છે.

 

(12:50 pm IST)