Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અંબાજી મંદિર કોરોનાના કારણે દર્શનાર્થીઓ માટે બંધ પરંતુ ભાવિકો ભુખ્‍ય ન જાય તે માટે માત્ર 16 રૂપિયામાં ટ્રસ્‍ટના ભોજનાલયમાં ભરપેટ ભોજનની સુવિધા

કોરોના ગાઇડલાઇનના પાલન સાથે 50 ટકા સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે ભોજનની વ્‍યવસ્‍થા

અંબાજી: કોરોનાના કારણે હાલ અંબાજી મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ છે. શ્રદ્ધાળુઓ મંદિરની શિખર અને ધજાના દર્શન કરીને પરત ફરી રહ્યા છે. પણ અંબાજી થી કોઈ દર્શનાર્થી ભૂખ્યુ નથી જઈ શક્તુ. કારણ કે, કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ ટ્રસ્ટના ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થા ચાલુ છે. શ્રદ્ધાળુઓને માત્ર 16 રૂપિયામાં ભરપેટ ભોજન અપાઈ રહ્યુ છે. દરરોજ એક હજાર જેટલા લોકો ભોજનનો લાભ લઈ રહ્યા છે.

રાજ્યભરમાં વધતા જતા કોરોનાના કેસને લઇ શ્રદ્ધાળુઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ છતા યાત્રિકો અંબાજી પહોચી મંદિર આગળ શક્તિદ્વારથી માતાજીના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે. તેવામાં અંબાજી આવતા યાત્રિકો ભૂખ્યા ન જાય તેનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓને ભોજનની સુવિધા મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે પોતાનું અંબિકા ભોજનાલય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલુ રાખ્યુ છે અને માત્ર 16 રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી છે.

ગઈકાલે રવિવારના પગલે અનેક શ્રદ્ધાળુઓ અંબાજી પહોચ્યા હતા અને અંબિકા ભોજનાલયમાં ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો. જોકે માત્ર 16 રૂપિયામાં બજારમાં નાસ્તો પણ થતો નથી ત્યાં મંદિર ટ્રસ્ટે 16 રૂપિયામાં ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી છે અને બાળકો માટે 11 રૂપિયા નક્કી કરાયા છે. હાલના તબક્કે આ ભોજનાલયમાં સરકારની સપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે યાત્રિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે અને ભોજનખંડમાં 50% સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી જમાડવામાં આવી રહ્યા છે.

અંબાજી મંદિરમાં દિવસ દરમિયાન સવાર સાંજ બંને ટાઇમ પિરસતા ભોજનમાં સવારે 800 અને સાંજે 200 જેટલા મળીને રોજના એક હજાર જેટલા યાત્રિકો આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. જોકે ભોજનાલયમાં પૂરી વણવાની સિસ્ટમ ઓટોમેટીક વિકસિત કરવામાં આવી છે તેવુ અંબાજી મંદિરના કેટરર્સના સંચાલક સુરેશ વ્યાસે જણાવ્યુ.

(4:17 pm IST)