Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

3 મહિના પહેલા જન્મેલ બાળ સિંહ સિમ્બા અને રેવા પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા

આ બંને બાળ રાજાઓ જંગલ સફારીમાં જન્મેલા ૧૦૦ ટકા એકતા નગરના નિવાસી છે: SOUADTG ઓથોરિટીના ચેરમેનશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ પતા ચલા હૈ,શ્રધ્ધા કે ઘર પલના બંધા હૈ ના ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.હવે આ બંને બાળ સિંહો એ પહેલીવાર પિંજરા ના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે.
એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં 3 મહિના પહેલા  માદા સિંહ "શ્રદ્ધા"એ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care taking ની આ એક અનુપમ સિદ્ધિ હતી.સિંહ યુગલ "સુલેહ"  અને "શ્રદ્ધા" ના સફળ પ્રજનન બાદ જન્મેલા  બંને સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી.જેનું ઉમદા પરિણામ મળ્યું છે.આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે બંને સિંહ બાળ "સિમ્બા" અને "રેવા"ને વિશાળ પિંજરામાં  છોડવામાં આવ્યા હતા,બંને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ -  સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું.જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે.આજે બંને સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી થી ખીલી ઉઠ્યા હતા.
અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈ એ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે,નાના સિંહ બાળને બહાર ખુલ્લામાં જોવાનો અમને મોકો મળ્યો છે,નિર્દોષ સિંહબાળની મસ્તી જોઈને પરિવારજનોનો  અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે.તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફારીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી વેકેશન ને સફળ અને યાદગાર બનાવો.

   
(4:35 pm IST)