Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલના ગુમ થવાનો ભેદ ઉકેલ્યો : હોટેલના રૂમમાં ઊંઘમાં ગળું દબાવી સ્વીટી પટેલની હત્યા કરાઇ

તેણીની લાશને પોતાની ગાડીમાં લઈ જઈ અટાલી ગામ પાસે અવાવરું બિલ્ડીંગ પાસે સળગાવી નાખી :બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા

વડોદરાના SOG પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલના ગુમ થવાનો ભેદ ઉકેલ્યો છે.

ચકચારી સ્વીટી પટેલ કેસ હવે ઉકેલાઈ ગયો છે. અત્યારસુધી પોલીસને આ કેસની તપાસમાં દહેજ નજીકના અટાલી ગામમાં આવેલી એક અવાવરું બિલ્ડિંગમાંથી ૩૫-૪૦ વર્ષની વય ધરાવતી કોઈ વ્યક્તિના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ હવે સ્વીટી પટેલ જે ઘરમાં પોતાના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે રહેતાં હતાં ત્યાંના બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.

આ તપાસમાં PI અજય દેસાઈ પહેલે થી જ શંકાના ઘેરામાં હતા. અને તેમના તરફની શંકાની સોય દિવસે ને દિવસે વધુ ઘેરી બનતી જઈ રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જેવી તપાસ પોતાના હાથમાં લીધી કે તે જ સમયે દેસાઈએ પોતે શારીરિક અને માનસિક રીતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી તેવું કારણ આપી ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો.

જો કે હવે આખી ઘટના દીવા જેવી સ્પષ્ટ બની છે. અને PI પતિ જ આ કેસમાં આરોપી છે. પીઆઇ અજય દેસાઈ હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોધી છે. અને પીઆઇ અજય દેસાઈની ધરપકડ કરવામાં આવશે. તો સ્વીટી પટેલના મૃતદેહની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

આ કારણો સર કરી હતી હત્યા ….

ખડેર હોટેલના રૂમ લઈ જઈ ગળું દબાવી સ્વીટી પટેલની હત્યા કરાઇ હતી. જો કે ઘણા દિવસો સુધી સ્વીટી નજરે નહિ આવતા તેણીના ભાઈ દ્વારા 5 જૂનના રોજ ફરિયાદ આપી હતી. તેમ છતાય લાંબા સમય સુધી ભાળ ન મળતા ક્રાઈમ બ્રાન્ચ અને ats ને તપાસ સોંપવામાં આવી હતી.

તપાસના અંતે જાણવા મળેલ કે સ્વીટી પટેલ પીઆઈ અજય દેસાઈ સાથે લિવ ઈનમાં રહેતી હતી. 4 જુનના રોજ ઊંઘમાં જ તેણીનું ગળું દબાવી અજય દેસાઈ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. 5 તારીખે અજય તેણીની લાશને પોતાની ગાડીમાં લઈ જઈ અટાલી ગામ પાસે કિરીટસિંહ જાડેજાની અવાવરું બિલ્ડીંગ પાસે સળગાવી નાખી હતી.

જાણવા મળ્યા મુજબ ઘરકંકાસ બાબતે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અજય દેસાઈએ અન્ય લગ્ન કર્યા હોવા બાબતે બંને વચ્ચે ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે. અજય દેસાઈ સ્વીટી સાથે લીવ ઇન માં રહેતા હતા તે પહેલા જ એક લગ્ન કર્યા હતા. અને બાદમાં સ્વીટી પટેલ સાથે લિવ ઈન માં રહેતા હતા. અને જે બાદ અન્ય લગ્ન કર્યા હતા.

સ્વીટી પટેલે અમેરિકામાં લગ્ન કર્યા જે એક મહિના બાદ તૂટી ગયા હતા. અને પરત આવી પીઆઈ સાથે લીવ ઈનમાં રહેતી હતી. આ કેસમાં મુખ્ય આરોપી અજય દેસાઈની સાથે ગુનામાં કિરીટસિંહ જાડેજાની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(9:04 pm IST)