Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વડોદરા:કરજણના નવાબજાર વિસ્તારમાં મિત્ર સાથે પત્નીના આડા સંબંધથી કંટાળી રિક્ષાચાલક પતિએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

વડોદરા: કરજણના નવાબજાર વિસ્તારમાં પત્નીના રિક્ષાચાલક પતિના મિત્ર સાથેના આડા સંબંધોના કારણે સમાજમાં બદનામી થતાં રિક્ષાચાલક પતિએ ઝેર પી આપઘાત કરી લીધો હતો.

નવાબજારમાં ગુજરાતી સ્કૂલની સામે  રહેતા સાજીદશા સલીમશા દિવાને કરજણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતા રિક્ષા ચલાવતા હતાં તેમને સંતોષનગરમાં રહેતા ઝાકીર ઇસ્માઇલ સીંધી સાથે ઘણા વર્ષોથી મિત્રતા  હોવાથી ઝાકીર અવારનવાર મારા ઘેર આવતા હતાં. સાત મહિના પહેલા સાંજે મારા પિતાએ માતા સાથે ઝઘડો કર્યો હતો અને માતાને જણાવતા હતાં કે ઝાકીર મારી ગેરહાજરીમાં આપણાં ઘેર કેમ આવે છે? છોકરા મોટા થઇ ગયા છે તું ઝાકીર સાથે સંબંધ તોડી નાંખ સમાજમાં મારી બદનામી થાય છે. આ વખતે મેં મારા પિતાને શાંત કર્યા  હતાં.

બાદમાં હું તથા મારા પિતા જમવા બેઠા હતા ત્યારે પિતાએ મને કહેલ કે આ ઝાકીરને મેં તારી મમ્મી સાથે સંબંધ તોડી નાંખવા અવારનવાર કહ્યું છે પણ તે માનતો નથી અને મને તું ચૂપ રહેના તુજે તો મેરા એહસાન માનના ચાહીયે તેરે સે કુછ હોતા નહી હે તેરી ઔરત કો મેં સંભાલ રહા હું તેરે સે દેખા નહી જાતા હે તો મર જા, તું કીસીકે કામ કા નહીં હે તેરી ઇસ દુનિયાસે કોઇ જરૃરત નહી તેમ કહી ધમકાવે છે, મને ઝાકીરનો ત્રાસ સહન થતો નથી અને તેના કારણે એક દિવસ મરવું પડશે. આ વખતે મેં ચિંતા ના કરો બધું સારુ થઇ જશે તેમ કહી પિતાને શાંત કર્યા હતાં.બાદમાં તા.૧૨ માર્ચના રોજ પિતાએ ઝેરી દવા પી લેતા તેમને કરજણ અને બાદમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તા.૧૭ના રોજ પિતાનું મોત થયું હતું. વોર્ડમાં પિતાના કપડાં બદલતા હતા ત્યારે તેમના પાકિટમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં મારી મોતનું કારણ ઝાકીર છે તેમ લખાણ હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે કરજણ પોલીસે ઝાકીર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:03 pm IST)