Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા હોદ્દેદારોની પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઇ

નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવૃતિઓ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી : બે માનદ્દ મંત્રીઓ તથા ખજાનચીની નિમણૂંક કરાઇ

ગાંધીનગર :ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI )ના નવા વરાયેલા હોદ્દેદારોની આજે પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સને 2021-22 માટે બે માનદ્દ મંત્રીઓ અને માનદ્દ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ બેઠકમાં નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવૃતિઓ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આજની કારોબારીની મીટીંગમાં બે માનદ્દ મંત્રીઓ તરીકે 1. સચિન પટેલ ( સ્થાનિક ) , અને મહેશ પૂંજ ( રિજિયોનલ – ગાંધીધામ ) તથા માનદ્દ ખજાનચી નવરોઝ તારાપોરની નિમણૂંક કરાઇ હતી. અગાઉ જીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભાના સમાપન બાદ વર્ષ 2021-22ના હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં હેંમત શાહે નવા પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા હતા. તે જ રીતે સીનીયર ઉપપ્રમુખ તરીકેનો પથિક પટવારીએ કાર્યભાર સંભાળ્યો હતો. તો સંજીવ છાજરે નવા ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ તમામ નવા હોદ્દેદારોની આજે પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં નવા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવુત્તિઓ માટે પ્રતિબધ્ધ રહેવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI )ની 25 બેઠકોની ચૂંટણી 18મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. પરંતુ ઉમેદવારી પત્રોની ચકાસણી તથા પરત ખેંચવાના છેલ્લાં દિવસે નવ ( 9 ) ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પાછાં ખેંચતા 22 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. બાકીની ત્રણ બેઠકો કો-ઓપ્ટ સભ્યોથી ભરવામાં આવશે.

(12:41 am IST)