Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભરતસિંહ સોલંકીમાં તાકાત હોય તો અન્‍ય ધર્મના લોકો સામે બોલીને દેખાડેઃ કોંગી નેતા ભરતસિંહને માનસિક ચેકઅપની જરૂરઃ સી.આર. પાટીલ

કોંગ્રેસના નેતાએ કરેલ ઉચ્‍ચારણ સામે ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રહારો

વડોદરાઃ એક જાહેરસભાની સંબોધતા કોંગ્રેસી નેતા ભરતસિંહએ કરેલા નિવેદન અંગે ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલે જણાવ્‍યુ હતું કે, ભરતસિંહ સોલંકીને મેન્‍ટલ હોસ્‍પિટલમાં ચેકઅપ કરાવવુ જોઇએ, હિન્‍દુઓની લાગણી દુભાય તેવા નિવેદનો શા માટે કરે છે, અન્‍ય ધર્મના લોકો વિશે બોલે તો તેની તાકાતની ખબર પડે.

ગઈકાલે એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ભાન ભૂલ્યા હતા. તેમણે જાહેરમાં ક્હ્યુ હતું કે, ભાજપે રામના નામે છેતરી કાઢ્યા, રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીને આ મામલે સંભળાવ્યુ હતું. વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યુ કે, ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવું જોઈએ. હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે. ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મ લોકોની સામે બોલે.

વડોદરાના પાદરા અને કરજણ વિસ્તારમાં આજે ભાજપનો વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે. જેમાં સીઆર પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મંચ પરથી ભરતસિંહ સોલંકીના રામ મંદિર મુદ્દે નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવું જોઈએ. હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે. ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મ લોકોની સામે બોલે. અન્ય ધર્મના લોકો જે એમના આજુબાજુ ફરે છે એમના વિશે બોલો કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે તો હું મર્દ સમજુ. ભરતસિંહ સોલંકીને વોર્નિં આપુ છું, શાનમાં સમજી જાય, હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો બંધ કરો, નહિ તો હિન્દુ લોકો નહિ છોડે.

ભરતસિંહ સોલંકીએ શુ કહ્યુ હતું....

ધોળકાના વટામણમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાયું હતું. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે OBC સંમેલનમાં ભરતસિંહ સોલંકીનું સૌથી વિવાદિત નિવેદન ચર્ચામાં રહ્યું છે. OBC સંમેલનમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, લોકોએ કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોધ્યા મોકલી હતી ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતા. રામના નામે રૂપિયા ઉઘારવાનારા લોકો રૂપિયા હવામાં ઉછાળી એવું કહેતા હતા કે જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે બાકી આપણે રાખીએ. જે લોકો રામને છેતરી શકે છે તે આપણને કેમ ના છેતરી શકે? ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભાજપે રામના નામે છેતરી કાઢ્યા છે. ભરતસિંહ સોલંકીએ ઓબીસી સંમેલનમાં વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે.

કાર્યક્રમમાં પાટીલે દિવ્યાંગો અને વિધવા બહેનોને સંબોધન કરતા કહ્યુ હતું કે, જેમને પણ કઈ રજૂઆત કરવી હોય, સૂચન હોય તો મને કહી શકો છો હું બધાની વાત સાંભળીશ. ત્યારે દિવ્યાંગો અને વિધવા બહેનોએ સીઆર પાટીલને પેન્શન મળી ન રહી હોવાની રજૂઆત કરી હતી. પુનીયા ગામના દિવ્યાંગ સરપંચે સીઆર પાટીલને પ્રશ્ન પૂછ્યો હતો કે, પોલીસ વિભાગના લોકો વિકલાંગો સાથે બબાલ કરે છે, વિકલાંગ જતાં હોય ત્યારે રોકે છે, હેરાન કરે છે. કેટલીક જગ્યાએ દિવ્યાંગ માટે રેમ્પ વોક નથી હોતો. તો એક મહિલાએ પાટીલને પૂછ્યુ હતું કે, બાળક નથી તો અમને ચોખા મળતાં નથી. અમને 20 રૂપિયાના કાળા બજારના ચોખા ખરીદીને લાવવા પડે છે.

આ મુદ્દે પાટીલે જવાબ આપ્યો હતો કે, અલગ અલગ સેક્ટરના લોકોની સમસ્યા હલ કરવાનો આ કાર્યક્રમ છે. પેજ કમિટીના 50 હજાર સભ્યોનો સંવાદ ગઈકાલે ડભોઈમાં કરવામાં આવ્યો. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ આજે સવારે કેટલાક સૂચનો, ફરિયાદ કરી જે સાંભળી છે. 42 હજાર કિંમતની સાયકલો દિવ્યાંગ ભાઈ-બહેનોને આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ આખા દેશમાં જાહેર કરેલી યોજનાઓ 100 ટકા દરેક જિલ્લામાં લાગુ થાય એવી સૂચના રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને તેઓએ આપી હતી.

(5:30 pm IST)