Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વિજયભાઇના હસ્તે અમદાવાદમાં ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ. એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર જોડાયા

રાજકોટ, રપ : મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની  નવી દિલ્હી થી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં  ગાંધીનગર થી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યો હતો.  ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-્રઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએકટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના ૭૦૦ જેટલા ઉદ્યોગોને મળશે.   આ પ્રોજેકટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે.  મુખ્યમંત્રીએ આ ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીને અભિનંદન આપતા કહ્યું કે, અમદાવાદના વટવા ઇ સ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગગૃહોએ સાથે મળીને સહકારીતાના આધાર ઉપર દુષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેકટની સ્થાપના કરી છે તે અભિનંદન ને પાત્ર છે. મુખ્યમંત્રી એ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના  માર્ગદર્શનમાં  હંમેશા પર્યાવરણ રક્ષા સાથેના ઔદ્યોગિક અને સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. 

ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ - ગ્લોબલ ર્વોમિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે.

તેમણે કહ્યું કે ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં સી.ઇ.ટી.પી.ને વેગ આપીને ૭૫૦ થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતા ના ૩પ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને ૧૯ જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે. 

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં જેતપૂર, અમદાવાદ, સુરત, વડોદરા વિસ્તારોના ઉદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધિકરણ કરીને પર્યાવરણિય રીતે દરિયામાં ઉંડે નિકાલ કરવા  ખર્ચે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટસ રાજ્યમાં આકાર લઇ રહ્યો છે.

 આના પરિણામે નદીઓ શુધ્ધ થશે

ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસ સાતત્ય પૂર્ણ વિકાસ ની બાબતમાં  અગ્રેસર રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું

 મુખ્યમંત્રી  એ કહ્યું કે પર્યાવરણ રક્ષા થી આપણે સૌ સાથે મળી કલીન ગુજરાત ગ્રીન ગુજરાત નો સંકલ્પ પાર પાડીશું

આ લોકાર્પણમાં   પર્યાવરણ રાજ્ય મંત્રી   જયદ્રથસિંહ પરમાર, ગૃહ મંત્રી   પ્રદિપસિંહ જાડેજા  સાંસદ   કિરીટ ભાઈ સોલંકી  એચ એસ પટેલ અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના  પદાધિકારીઓ પણ જોડાયા હતા.

(3:28 pm IST)