Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઇન મોકલવાની કામગીરી શરૂ કરાઈ

સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1.10 લાખ : ઝડપથી પરિણામ જાહેર કરવાની ચાલતી કવાયત

અમદાવાદ : ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલવા માટેની કામગીરી શુક્રવારથી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી પુર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1.10 લાખ જેટલી હોવાથી બોર્ડ દ્વારા કામગીરી ઝડપથી પુરી કરીને પરિણામ વહેલીતકે જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે. મેડીકલ- ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની હોવાથી બોર્ડ દ્વારા હાલમાં સાયન્સના પરિણામ પણ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

સરકાર દ્વારા ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણ આપવાની કામગીરી પુર્ણ કરી લીધી હતી. આ કામગીરી પુર્ણ થયા બાદ શુક્રવારથી બોર્ડમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવા માટેની કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ કામગીરી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યને ઉદ્દેશીને કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ધોરણ-12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબના ગુણ તથા પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયના ગુણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન 25 જૂનથી 1 જુલાઈ સુધી ભરવાના રહેશે. નિયમિત વિદ્યાર્થીઓના ગુણ તેમના નામ અને એપ્લીકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટે શાળાના ઈન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન ભરવા માટેની તારીખ બોર્ડ દ્વારા 28 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરવાની તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળે છે. જોકે, તેમ છતાં જુલાઈના બીજા સપ્તાહમાં જ પરિણામ જાહેર કરી શકાશે. પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ બીજા સપ્તાહની શરૂઆતમાં જ પરિણામ આપી શકાય તે દિશામાં પ્રયત્ન કરી રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

(11:08 pm IST)