Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અંકલેશ્વરની એક ફેકટરીના બેસ્‍ટની નિકાલ પ્રક્રિયાની પાઇપ લાઇનના ભંગાણથી ઉદ્યોગકારોને ૧ હજાર કરોડ રૂપિયાની નુકશાન સહન કરવી પડી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતનો બનાવ

ભરૂચ : ભરૂચના અંકલેશ્વરમાં આવેલ એક કેમીકલ કંપનીમાં વેસ્‍ટ નિકાલ કરવાની પાઇપ લાઇનમાં ભંગાણ પડવાથી ઉદ્યોગકારોને અધધ કહી શકાય તેવું આર્થિક નુકશાન થવા પામેલ છે.

અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટની નિકાલ કરતાં એફ્લુઅન્ટ પાઇપલાઇનમાં  પડેલું ભંગાણ એક અઠવાડિયાથી રિપેર ન થતા 1,800 કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. તેના લીધે સીધી એક હજાર કરોડની નિકાસને ફટકો પડ્યો હોવાનો અંદાજ છે.

આમ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની સાથે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયા જીઆઇડીસી સાત દિવસથી લીકેજ  રિપેર ન થવાના લીધે ઠપ્પ છે. મોઠિયા નજીક એફ્લુઅન્ટ પાઇપલાઇનમાં લીકેજ  થયા પછી ભારે વરસાદના લીધે સમારકામમાં સતત વિલંબ થઈ રહ્યો છે.

દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ થવાથી  ઉત્પાદનની સાથે નિકાસ પર મોટાપાયા પર અસર પડી છે. ફક્ત અંકલેશ્વર એસ્ટેટ જ રોજના 100થી વધુ કન્ટેનરની કેમિકલની વિદેશ નિકાસ કરે છે.

કેમિકલ ક્લસ્ટરમાંથી ડાઇઝ, પિગમેન્ટ, જંતુનાશકો, ઇન્ટરમીડિયેટ્સ અને બલ્ક ડ્રગની નિકાસ કરાય છે. આજે આ બધી નિકાસ ઠપ્પ થઈ ગઈ છે. તેના લીધે નિકાસકારોના ચહેરા પર ચિંતા વ્યાપી ગઈ છે. તેઓ માને છે કે સરકાર આ બાબત પર જોઈએ તેવું ધ્યાન આપી રહી નથી, કારણ કે તેને તેનું ખાસ મહત્ત્વ લાગતું નથી.

એક નિકાસકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પહેલા કોરોનાના લીધે લોકડાઉન, પછી કોરોનાની અસર, વીજળીના ધાંધિયા અને પાઇપલાઇન લીકેજ આમ એક પછી એક આવતી સમસ્યાઓથી ઉદ્યોગો પરેશાન છે. સરકારે કાયમી ધોરણે સર્જાતી સમસ્યાઓ પર ધ્યાન આપવુ જોઈએ.

વૈશ્વિક બજારમાં ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનોનું વિશેષ સ્થાન છે. વિદેશીઓ સમયસર ડિલિવરી માંગે છે, નહી તો તે પેનલ્ટી ફટકારે છે અથવા તો ઓર્ડર રદ કરવા સુધીના પગલા લે છે. તેથી આ રીતે કંપનીઓ સાત દિવસથી બંધ છે ત્યારે વિદેશી ગ્રાહક ગુમાવવાનો પણ ભય છે.

કોઇપણ પ્રકારના રિપેરિંગમાં વિલંબની સાથે વીજળીના મોરચે પરેશાની કેમિકલ ઉદ્યોગોના ઉત્પાદન પર અસર પહોંચાડે છે. નિકાસકારોના જણાવ્યા અનુસાર ઉદ્યોગો કોરોનામાંથી માંડ-માંડ બેઠા થઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ પડતા પર પાટા જેવી છે.

(9:54 pm IST)