Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમદાવાદમાં બાપુનગરના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર નખાવતા સ્થાનિકો દ્વારા વિરોધ

પોલીસ લાઈન પાસે રહેતા કોંગ્રેસ કાર્યકરે પોતાના ઘર ઉપર મોબાઈલ ટાવર નખાવ્યું

અમદાવાદના બાપુનગરમાં સ્થાનિકોમો રોષ જોવા મળ્યો છે. બાપુનગરના પોલીસ લાઈન પાસે રહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવર નખાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો પોલીસ લાઈન પાસે રહેતા કોંગ્રેસ કાર્યકરે પોતાના ઘર ઉપર મોબાઈલ ટાવર નખાવ્યું છે. જેના વિરોધમાં સ્થાનિકોએ ગાંધીગીરી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

કાર્યકરના પાડોશીઓએ કાર્યકરના ઘર સામે બેસીને સતત રામ-ધૂન ગાઈ હતી. આ અનોખા ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકોએ ટાવરનો વિરોધ નોંધાવ્યો. આ બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને વિરોધને લઈને જુસ્સો પણ જોવા મળ્યો. આ ઉપરાંત તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે રહેણાક વિસ્તાર હોવા છતાં ટાવરની મંજૂરી કેમ આપવામાં આવી.

 રહેણાક વિસ્તારમાં ડોક્ટર અને કોંગ્રેસ કાર્યકરના ઘર ઉપર રેડિએશન ફેલાવતો મોબાઈલ ટાવર નાખવાની મંજૂરી શા માટે આપવામાં આવી તેને લઈને પણ સ્થાનિકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. રહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવરથી તેમને કેન્સર થવાનો પણ ભય છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમણે આ અંગે અનેક વાર રજૂઆત કરી છે છતાં કોઈ પરિણામ ન આવતાં તેઓએ ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે. તેમેજ તેમણે ચીમકી પણ આપી કે ટાવર નહીં હટે ત્યાં સુધી તેનો વિરોધ કરશે

(11:23 pm IST)