Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતના પાંડેસરા કવિસ્‍તારમાં 12 વર્ષના બાળકનો ગળેફાંસો ખાઇને આપઘાતઃ કારણ અંગે રહસ્‍યઃ બાથરૂમમાં લટકતી હાલતમાં મૃતદેહ મળ્‍યો

મોબાઇલના ખોટા રવાડે ચડીને પગલુ ભરી લીધુ કે અન્‍ય કારણ ? તે અંગે તપાસનો ધમધમાટ

સુરત: સુરતમાં જેમ ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેમ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ હજી અકબંધ છે. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારના રણછોડનગરમાં રામભાન શાહુનો પરિવાર રહે છે. રામભાન શાહૂ મૂળ યુપીના છે, અને સુરતમાં કરિયાણાનો વ્યવસાય કરે છે. તેમનો 12 વર્ષનો દીકરો ધોરણ 8 માં ભણે છે. શુક્રવારે સવારે તે શાળાએથી પરત આવ્યા બાદ પિતા સાથે સૂવા ગયો હતો. તેના બાદ તેણે પિતાને કહ્યુ હતું કે, તે કુદરતી હાજતે જઈને પરત આવશે. આ બાદ રામભાન શાહુને ઊંઘ આવી ગઈ હતી, અને સાંજે ચાર વાગ્યે દીકરો પાસે ન હોવાની ખબર પડી હતી. તેમણે ઘરમાં દીકરાને શોધ્યો હતો. આખરે દીકરો બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પરંતુ તેમણે બાથરૂમમાં જે જોયુ તે જોઈને ડઘાઈ ગયા હતા. 12 વર્ષનો દીકરો બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

દીકરાએ આત્મહત્યા કરી છે તે જાણીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો મદદે આવ્યા હતા. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, રામભાન શાહુને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. જેમાં બીજા નંબરના દીકરા પાર્થે આત્મહત્યા કરી હતી. જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તે મોબાઈલનો વ્યસની બન્યો હતો. તેને મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાનો શોખ હતો. તો શું મોબાઈલના ખોટા રવાડે ચઢી ગયેલા પાર્થે આત્મહત્યાનું પગલુ ભર્યુ હતું.

(5:00 pm IST)