Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સુરતમાં 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈ બુમાબુમ કરતા બધા દોડી આવ્યા:દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી : લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા શોકમાં ગરકાવ

સુરતમાં 14 વર્ષની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. દિકરીના મોતને લઈ પરિવાર ભારે શોકમાં જોવા મળી રહ્યો છે. જો કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણી શકાયું નથી.

આ બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોરીએ તેના રુમમાં જ દુપટ્ટાને હુક વડે બાંધી આપઘાત કરી લીધો હતો. તે વાતની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી છે. આ અંગે વિદ્યાર્થિનીના પરિવારે જણાવ્યું હતું કે 14 વર્ષની એકની એક દીકરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. આજથી શાળાએ જવાની હોવાથી એની તૈયારી કરતી હતી. મંગળવારની બપોરે ભોજન કરી આખું પરિવાર આરામ કરવા ચાલી ગયું હતું. ત્યારબાદ સાંજે 4 વાગે જાગીને ઘર આંગણે બેઠાં હતા.

થોડીવાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈ બુમાબુમ કરતા બધા દોડી આવ્યા હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી આવી હતી. પપ્પાની લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં દીકરીએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. પાંડેસરા પોલીસ જ હવે તપાસ કરી ને કહે તો ખબર પડે કે આપઘાતનું કારણ શું હોય શકે.

(9:27 pm IST)