Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પત્નીએ કહ્યું - તારે જે કરવું હોય તે કર ,તું મરે તોય મારે શું: પતિએ બે પુત્રો સાથે મોતની છલાંગ લગાવી

ગાંધીનગરના રાયપુર સાયફન પાસેની નર્મદા કેનાલમાં પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી હારી થાકીને ચાર અને છ વર્ષનાં બાળકો સાથે મોત વ્હાલું કર્યું : પરિવારજનોમાં શોકનો માહોલ

ગાંધીનગરના રાયપુર સાયફન પાસેની નર્મદા કેનાલમાં પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી હારી થાકીને ચાર અને છ વર્ષનાં બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે બે સંતાનો સાથે આત્મહત્યા કરવા પહોંચેલા શ્રમજીવી યુવાને કેનાલ પર ઊભા રહીને મરતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. ગઈકાલે નાના પુત્ર આરવની લાશ મળી આવ્યા બાદ આજે બીજા પુત્ર ઋષભ અને પિતાની લાશ પણ મળી આવી છે.

મળીશું હવે આવતા જન્મમાં

“કોઈ એવા સમય સંજોગ બનશે તો આવતા જન્મમાં મળીશું, આ શબ્દો બોલી બે પુત્રો સાથે યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. યુવકે આત્મહત્યા કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, મારા છોકરાઓની મમ્મીમાં દિલ નથી અને એણે મને કીધું કે તારે જે કરવું હોય તે કર હું મજાથી જીવન જીવી રહી છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તું મરે તોય મારે શું.”

કેનાલમાંથી યુવક તેમજ તેના પુત્રોની લાશ મળી આવી છે. જેને લઈ તેનાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

શ્રમજીવી યુવાન વિનોદ ઠાકોર તેના બે પુત્ર આરવ (ઉ.વ. 4) અને રીષભ (ઉ.વ.6) સાથે કેનાલ ઉપર બપોરના સમયે પહોંચ્યો હતો. જ્યાં પિતા કયા ઈરાદાથી કેનાલ પર લઈને આવ્યા છે તેનાથી સાવ અજાણ બંને પુત્રો નિર્દોષ ભાવે કેનાલ પર રમત કરતા હતા. આ દરમિયાન વિનોદ આપઘાત કરતાં પહેલાં પરિવારને સંબોધીને વીડિયો બનાવવા લાગ્યો હતો. વચ્ચે વચ્ચે બને સંતાનો બાળસહજ તેના પિતા વિનોદને પણ પૂછતાં હોય છે. લગ્નજીવનથી હારી થાકીને વિનોદે અંતિમ વીડિયો બનાવી પરિવારને પણ મોકલી આપ્યો હતો.

(12:27 am IST)