Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બંધારણની વિશેષતા એ છે કે આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવાની જરૂર પડી નથીઃ દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે: કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ધ્વજવંદન કર્યું

ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ધ્વજવંદન કર્યુ હતું. પાટીલે 74માં પ્રજાસત્તાક દિનની જગ્યાએ 76માં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉલ્લેખ કર્યો હતો. સી.આર પાટીલે જણાવ્યું હતું કે બંધારણની વિશેષતા એ છે કે આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવાની જરૂર પડી નથી. આજે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ધ્વજવંદન કર્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે 74માં પ્રજાસત્તાક દિનની જગ્યાએ 76માં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉલ્લેખ કર્યો હતો, બાદમાં ફકત પ્રજાસત્તાક દિવસ જ બોલ્યા હતા.

આજના દિવસ બંધારણ થયું હતું લાગુ: 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે આજના દિવસે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું અને 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્ર થયા હતા. 26 જાન્યુઆરીએ આ બંધારણ લાગુ થયા પછી આપણે ગણતંત્ર દિવસ તરીકેની ઉજવણી કરીએ છીએ. જ્યારે બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે તેના પર આપણે અત્યારે પણ ચાલીએ છીએ. તેની વિશેષતા એ છે કે આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવાની જરૂર પડી નથી.

લોકો ભારત દેશની મજાક કરતા હતા: પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો અને લોકશાહીવાળો દેશ ભારતને ગણવામાં આવે છે. આપણે ગર્વથી કહી શકીએ છીએ પરંતુ કેટલાક લોકો ભૂતકાળમાં ભારત દેશની મજાક કરતા હતા અને ભારત અને ભારતની પ્રજાને લોકશાહી ટકશે નહીં તેવું પણ નિવેદન કરતા હતા. આજે આપણા દેશના લોકોએ સાબિત કર્યું છે કે આ દેશના લોકો લોકશાહી માટે સમર્પિત છે અને લોકશાહીના જતન માટે અનેક અડચણ વચ્ચે પણ મજબૂતાઈથી ઊભા રહ્યા છીએ. આટલા વર્ષો પછી પણ દેશની જે રીતે પ્રગતિ થઈ રહી છે તેના સર્વાંગી વિકાસ માટે દરેક નાગરિક પોત પોતાની રીતે કાર્ય કરે છે. છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસને જે રીતે ઝડપથી આગળ વધાર્યો છે તેમાં લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ કટિબદ્ધતાથી દેશ આગળ વધ્યો છે. આમ લોકશાહીમાં પણ આપણે વિકાસ સાથે આગળ વધી રહ્યા છે અને અન્ય દેશોની સરખામણીમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.

(3:29 pm IST)