Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નરેન્‍દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ ગુજરાતના મહેમાન બનશેઃ ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધન સ્‍ટેડિયમમાં મેચ જોવા જાય તેવી શક્‍યતા

વડાપ્રધાન તા.28ના રોજ આટકોટ ખાતે બનેલી હોસ્‍પિટલનું લોકાર્પણ કરી જંગી જનસભાને સંબોધશેઃ સાંજે આઇપીએલ મેચ જોવા જાય તેવી શક્‍યતા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આગામી 28 તારીખના રોજ ગુજરાત પ્રવાસે છે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. વડાપ્રધાને મોદી આટકોટમાં બની રહેલી મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું લોકાર્પણ કરશે અને તે બાદ જંગી જનસભાને સંબોધશે. જેની સાથે સાથે અમદાવાદમાં રખાનાર આઇપીએલ ફાઇનલ મેચમાં પણ હાજરી આપે તેવી શક્‍યતા છે. જેને લઇ સ્‍ટેડિયમ બહાર ચાપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના લોકર્પણની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલની ફાઈનલમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય એવી શક્યતા હોવાથી IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરાઈ છે.

પીએમ મોદી 28 મેના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે. જેમાં આટકોટમાં નવી બનેલી હોસ્પિટલનું લોકાર્પણ અને જંગી જનસભાને સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં પીએમનો આ બીજો કાર્યક્રમ થશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પહેલીવાર ગુજરાતમાં સહકારી સંમેલનમાં પીએમ સંબોધન કરશે. જેમાં સહકારી ક્ષેત્રના તમામ આગેવાનોને હાજર રહેશે. જોકે, આ વચ્ચે તેઓ આઈપીએલની મેચમાં હાજરી આપે તેવી શક્યતા છે.

પીએમનું 28 મેનું શિડ્યુલ

    સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે. જેમાં આટકોટમાં નવી બનેલી હોસ્પિટલનું લોકાર્પણ અને જંગી જનસભાને સંબોધન કરશે

    બપોરે 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

    સાંજે 4 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે

    સાંજે 4.30 કલાકે મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનને સંબોધન કરશે

    સહકાર સંમેલન બાદ પીએમ મોદી અમદાવાદ થી દિલ્લી જવા રવાના થશે

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તે જ સમય દરમિયાન અમદાવાદમાં IPLની બે મેચ યોજાનાર છે. શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીની સંભવત હાજરીની શક્યતા છે. જેને પગલે રાજ્ય પોલીસ વિભાગ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લાના તમામ પોલીસ કર્મીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. 47 એસ.પી, 84 ડીવાયએસપી, 03 કયું.આર.ટી , 28 એસ.આર.પી.એફ, 28 બૉમ્બ સ્ક્વોડ, 222 ઇન્સ્પેકટર, 686 પીએસઆઈ, 3,346 કોન્સ્ટેબલ, 824 મહિલા પોલીસની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેશે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL મેચ રમવા ટીમનું અમદાવાદમાં આગમન થઈ ગયુ છે. ગુજરાત ટાઈટન્સની ટીમના પ્લેયર અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ત્યારે અનેક બોલિવૂડ સ્ટાર અને રાજકીય આગેવાનો પણ ફાઇનલ મેચ અમદાવાદમાં નિહાળશે તેવી શક્યતા છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પત્ની અને પુત્ર સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

તો બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 27 મેના રોજ રાત્રે અમિત શાહ અમદાવાદમાં પહોંચશે. જેમાં 28 મેએ તેઓ દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરશે. સાથે જ દ્વારકામાં પોલીસ કોસ્ટલ એકેડમીમાં હાજરી આપશે. તો 29 મેએ સવારે ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં, બપોરે નડિયાદમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમિત શાહ IPLની ફાઈનલ મેચ જોશે.

(5:32 pm IST)